top
બિલ્ડર મેરામણ પરમાર આપઘાત કેસમાં ગાંધીનગર પોલીસના જામનગરમાં ધામા:રાજકીય વગ ધરાવતા આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા, બંને સુસાઈડ નોટ FSLમાં મોકલવામાં આવી
જામનગરના મોટાગજાના ગણાતા બિલ્ડર મેરામણ પરમારના રહસ્યમય આપઘાત કેસમાં 18 મહિના બાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. રાજકીય વગ ધરાવતા 11 આરોપીઓની શોધખોળ માટે ગાંધીનગર એલસીબી અને અડાજલ પોલીસે જામનગરમાં ધામા નાખ્યા છે. ભીખુભા વાઢેર સહિતનના 11 આરોપીઓના ઘરે અને ધંધાકીય સ્થળો પર દરોડા પાડ્યા પરંતુ, તમામ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય શોધખોળ ચાલી રહી છે. બિલ્ડરે લખેલી બંને સુસાઈડ FSLમાં મોકલવામાં આવી. જામનગરના ફાઈનાન્સર ભીખુભા વાઢેર સહિતના આરોપીઓની શોધખોળ પોતાની લકઝરી લાઈફ સ્ટાઈલને લઈ ચર્ચામાં રહેતા જામનગરના નામાંકિત બિલ્ડર મેરામણ પરમારના 18 મહિના પહેલા થયેલા રહસ્યમય મોતના કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે મૃતકના પુત્રએ 11 લોકો સામે પોતાના પિતાને મરી જવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી. આ ઘટના સંદર્ભે મૃતકના પુત્ર દેવ પરમારે એકાદ વર્ષ અગાઉ ગાંધીનગર પોલીસ સમક્ષ કરેલી લેખિત અરજી પર લાંબી તપાસ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન મુખ્ય સૂત્રધાર જામનગરના જાણીતા ફાઇનાન્સર ભીખુભા વાઢેર સહિત તેમના પુત્રોને વારંવાર નિવેદનો આપવા બોલાવાયા હોવા છતાં તેઓ સતત તપાસ અધિકારીઓને ગેરમાર્ગે દોરી અસહકાર દર્શાવતા રહ્યા. ફરિયાદ નોંધાયા બાદ ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચ અને અડાલજ પોલીસની સંયુક્ત ટીમોએ જામનગરમાં ધામા નાખી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. તેમના ઘર પર તપાસ કરતા તમામ આરોપીઓ ગેરહાજર જોવા મળ્યા. આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસે સંભવિત મદદગારો અને સગા સંબંધીઓને ત્યાં પણ તપાસ શરૂ કરી છે. ધંધાકીય સંબંધોમાં મેરામણ પરમાર વ્યાજની જાળમાં ફસાયા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, બિલ્ડર મેરામણ પરમાર અને ભીખુભા વાઢેર વચ્ચે ધંધાકીય સંબંધો હતા.જેથી મેરામણ પરમાર ધંધા અર્થે પૈસાની જરૂરિયાત ઊભી થાય એટલે ભીખુભા પાસેથી ફાયનાન્સ મેળવતા.જેના અવેજીમાં ભીખુભા વાઢેરે ગુનાહિત કાવતરું રચી એક પછી એક પ્રોપર્ટી લખાવી લેવાનું શરૂ કર્યું હતું. પોલીસે બંને સુસાઈડ નોટ FSLમાં મોકલવામાં આવી બીજી તરફ આ સમગ્ર આપઘાત પ્રકરણના સૌથી મહત્વના પુરાવારૂપ મૃતક મેરામણ પરમારના હસ્તાક્ષરમાં લખાયેલી બંને સ્યુસાઈડ નોટોને એફએસએલમાં પૃથક્કરણ અર્થે મોકલી આપવામાં આવી છે. FSL દ્વારા મૃતકના મૂળ હસ્તાક્ષર અને સુસાઈડ નોટ પરના લખાણની ચકાસણી કરવામાં આવી રહી છે. આ સાથે જ સ્યુસાઈડ નોટ લખવા માટે વપરાયેલી શાહી, કાગળ અને લખાણના સમયગાળાનું સાયન્ટિફિક એનાલિસિસ પણ કરવામાં આવી રહ્યું છે. 'રોલ્સ રોયસ'માં ફરતા બિલ્ડરનું મોત કુદરતી નહીં, આપઘાત કર્યાનો ધડાકો જામનગર-અમદાવાદમાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા બિલ્ડર મેરામણ પરમારે વ્યાજખોરના માનસિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી આત્મહત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે. જો કે તેનું મોત 10 જાન્યુઆરી, 2025ના રોજ થયું હતું. પરંતુ 27 ઓગસ્ટે, 2026ના રોજ ગાંધીનગરમાં પરિવારે ફરિયાદ થતાં આ ખુલાસો થયો છે. મૃતક પાસેથી જામનગરના વાઢેર અને દોમડીયા પરિવારે 153 કરોડથી વધુની 28 પ્રોપર્ટી પચાવી પાડ્યાનો આક્ષેપ કરાયો છે. બિલ્ડરના પુત્ર દેવ પરમાર (રહે. બોડકદેવ, અમદાવાદ)એ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા 11 આરોપી સામે ગુનાહિત ષડયંત્ર રચવા તથા આપઘાતની દુષ્પ્રેરણનો ગુનો દાખલ થયો છે. મેરામણ પરમારે 2016માં સૌરાષ્ટ્રની પહેલી 6.5 કરોડની રોલ્સ રોયસ કાર ખરીદી હતી. અગાઉ 2020માં પણ મેરામણ પરમારે મોડી રાતે માંકડ મારવાની ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો)
Read full article on Divya Bhaskar