top
ગાંધીનગરના નિવૃત્ત નાયબ સચિવના પરિવારનું હાઈપ્રોફાઈલ કરોડોના કૌભાંડનો મામલો:ફેમેલીને જેલમાં ધકેલી પોલીસે ચાર્જશીટ ફાઇલ કરી, તોય રૂપિયાનો છેડો નહીં મળતા કોર્ટના આદેશથી ફરી તપાસ
ગાંધીનગરના સેક્ટર-23માં રહેતા નિવૃત નાયબ સચિવના પરિવારે આચરવામાં આવેલા કરોડો રૂપિયાના હાઈપ્રોફાઈલ ઠગાઈ પ્રકરણમાં એક નવો વળાંક આવ્યો છે. આ કૌભાંડમાં લાંબી તપાસના અંતે ઇન્ફોસિટી પોલીસે મુખ્ય આરોપી નિરવ દવે, પિતા મહેન્દ્ર દવે, પત્ની મીરાં અને પુત્ર યજત સહિત આખા પરિવારને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કોર્ટમાં ચાર્જશીટ તો ફાઇલ કરી દીધી હતી, પરંતુ ઠગાઈના કરોડો રૂપિયા ક્યાં ગાયબ થઈ ગયા તે અંગે કોઈ જ સગળ મળી શકી ન હતી. આખરે ભોગ બનનારાઓએ ગાંધીનગર કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. કોર્ટે આ બાબતની ગંભીરતા જોઈ સમગ્ર કૌભાંડની ફરીથી ઊંડાણપૂર્વક તટસ્થ તપાસ કરવાનો સખત આદેશ આપતા ઇન્ફોસિટી પોલીસે ફરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નકલી ટેન્ડરોના નામે કૌભાંડ, આંકડો રૂ. 80 કરોડે પહોંચવાની સંભાવના ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નકલી ટેન્ડરોના નામે આચરેલા આ કૌભાંડનો આંકડો ઇન્ફોસિટી પોલીસના ચોપડે હાલ રૂ. 33 કરોડથી વધુ નોંધાયો છે. જોકે, પડદા પાછળ હજુ પણ અનેક નામાંકિત બિલ્ડરો અને ડોક્ટરો આ ઝાળમાં ફસાયા હોવાની માહિતી સામે આવી રહી છે, જેને પગલે ઠગાઈનો કુલ આંકડો રૂ. 80 કરોડ સુધી પહોંચવાની પ્રબળ સંભાવના છે. નકલી વર્ક ઓર્ડર ઊભા કરી રોકાણકારોને શીશામાં ઉતાર્યા હતા આ સમગ્ર કૌભાંડની જાળ વર્ષ 2004થી ગૂંથવાની શરૂ થઈ હતી. નિરવ દવે, તેની પત્ની મીરા, પુત્ર યજત અને નિવૃત નાયબ સચિવ પિતા મહેન્દ્ર દવેએ એકસંપ થઈને હાઈપ્રોફાઈલ સરકારી પ્રોજેક્ટ્સના નકલી વર્ક ઓર્ડર ઊભા કરી રોકાણકારોને શીશામાં ઉતાર્યા હતા. આ શાતિર પરિવારે પાટણની રાણકી વાવમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ, દ્વારકાના શિવરાજપુર બીચનું ડેવલપમેન્ટ, અમરેલીના રાજમહેલ કિલ્લાનું રિનોવેશન અને વડનગરના શર્મિષ્ઠા તળાવના મેન્ટેનન્સ જેવા મોટા સરકારી કામોના બનાવટી લેટરપેડ તૈયાર કર્યા હતા. સરકારી પત્રોમાં છેડછાડ કરી નકલી દસ્તાવેજો બનાવતો કૌભાંડમાં નિરવનો પુત્ર યજત ડિજિટલ એડિટિંગ દ્વારા અસલી સરકારી પત્રોમાં છેડછાડ કરી નકલી દસ્તાવેજો બનાવતો હતો, જ્યારે પિતા મહેન્દ્ર દવે પોતે નિવૃત નાયબ સચિવ હોવાથી રોકાણકારોને પ્રોજેક્ટ્સ સાચા હોવાનો પૂરો ભરોસો બેસી જતો હતો.આ હાઈપ્રોફાઈલ ઠગાઈનો ભોગ અમદાવાદના વેપારી ભાવિકભાઈ પટેલ (રૂ. 20.70 કરોડ), ઇન્ફોસિટીમાં ગેસ એજન્સી ધરાવતા દર્શનભાઈ રામી (રૂ. 1.12 કરોડ) અને નિરવની ઓફિસમાં જ કામ કરતો એક કર્મચારી (રૂ. 24 લાખ) બન્યા છે. આ સિવાય અન્ય વેપારીઓ મળીને કુલ 17 જેટલા લોકોએ પોતાના કરોડો રૂપિયા ગુમાવ્યા છે. રૂપિયાનો છેડો નહીં મળતા કોર્ટના આદેશથી ફરી તપાસ પોલીસ તપાસમાં આખો પરિવાર જેલભેગો થયો હોવા છતાં અને મુખ્ય આરોપીનો પુત્ર યજત જામીન પર બહાર આવી ગયો હોવા છતાં નાણાં ક્યાં છુપાવવામાં આવ્યા છે તે રહસ્ય અકબંધ રહ્યું હતું. આ અંગે ભોગ બનનાર દર્શનભાઈ રામીએ કહ્યું કે, નાણાંની કોઈ ભાળ ન મળતાં અમે વકીલ મારફતે ગાંધીનગર કોર્ટમાં અરજી કરી નાખી હતી અને કોર્ટે આખા કેસની તપાસ ફરી કરવા હુકમ કર્યા છે. જોકે કોર્ટના ફેરતપાસના આદેશની ગંભીરતા જોઈ ગાંધીનગર જિલ્લા પોલીસ વડાએ પણ પરિણામલક્ષી તપાસ કરવા સૂચના આપી છે. ઇન્ફોસિટી પીઆઇ વિશાલ શાહે જણાવ્યું હતું કે, કોર્ટના આદેશ મુજબ સમગ્ર કેસની ફેરતપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. હવે જોવું એ રહ્યું કે પોલીસ આ કરોડો રૂપિયા ક્યાં ગાયબ થયા તેનો તાળો મેળવી રોકાણકારોને પોતાના નાણાં પરત અપાવી શકે છે કે નહીં.
Read full article on Divya Bhaskar