politics
Gen Z આંદોલન મોદી વિરુદ્ધ નહોતું: સી. આર. પાટીલ:'યુવાનોની માગ પેપર લીક કરનારાઓ સામે કાર્યવાહીની હતી, કોંગ્રેસની ઘૂસણખોરી નિષ્ફળ રહી'
નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષની વિચારધારાને વધુ મજબૂત કરવાના હેતુથી ત્રણ દિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી. આર. પાટીલે તાજેતરમાં દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા Gen Z આંદોલન અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, જંતર-મંતર ખાતે આંદોલન કરનારા યુવાઓની મુખ્ય માગણી માત્ર અને માત્ર પેપર લીક કરનારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની હતી. આ યુવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં નહોતા. આ સાથે જ તેમણે આંદોલન પૂર્ણ થયા બાદ યુવાઓ દ્વારા જે રીતે જંતર-મંતર પરિસરની સાફ-સફાઈ કરવામાં આવી, તે સંસ્કાર અને સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિની પણ મન મૂકીને પ્રશંસા કરી હતી. કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે, જમીની સ્તર પરથી સાફ થઈ ચૂકેલી કોંગ્રેસે આ યુવા આંદોલનમાં પોતાનો રાજકીય રોટલો શેકવાનો અને રાજકીય જમીન શોધવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. જોકે, Gen Z પેઢીએ તેમને આંદોલનમાં પ્રવેશવા દીધા નહોતા અને અંતે કોંગ્રેસ આ આંદોલનમાં ઘૂસણખોરી કરવામાં નિષ્ફળ રહી હતી. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે માહિતી આપતા જણાવ્યું કે, ભાજપ દ્વારા પક્ષની વિચારધારાને કાર્યકરોમાં ઊંડે સુધી પહોંચાડવા દર ત્રણ વર્ષે પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવે છે. આ કાર્યશાળાનું ઉદ્ઘાટન સી. આર. પાટીલ, મુખ્ય વક્તા કે. સી. પટેલ, નરેશભાઈ, ધારાસભ્ય આર. સી. પટેલ, ધારાસભ્ય રાકેશભાઈ, પ્રભારી શંકરભાઈ, મહેન્દ્રભાઈ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેનની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રશિક્ષણ વર્ગ દરમિયાન વર્ષ 2014થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લેવાયેલા ઐતિહાસિક નિર્ણયો તેમજ કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા નવસારી જિલ્લામાં પૂર્ણ થયેલા મોટા પ્રોજેક્ટ્સની વિશેષ પ્રદર્શની પણ ગોઠવવામાં આવી છે, જેનું વિધિવત ઉદ્ઘાટન કરાયું હતું. આ ત્રણ દિવસીય શિબિરમાં અલગ-અલગ મોરચાના 66 જેટલા હોદ્દેદારો અને 100થી વધુ સિનિયર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે. શિબિરમાં કુલ 11 અલગ-અલગ સત્રો યોજાશે, જેમાં પ્રદેશ સ્તરના આગેવાનો અને વરિષ્ઠ વક્તાઓ કાર્યકરોને માર્ગદર્શન આપશે. ભાજપ સરકારના જનકલ્યાણકારી કાર્યો જન-જન સુધી પહોંચાડવા અને વિવિધ રાષ્ટ્રીય તેમજ સામાજિક મુદ્દાઓ પર કાર્યકરો સ્પષ્ટ અભિગમ કેળવે તે આ પ્રશિક્ષણ વર્ગનો મુખ્ય ઉદ્દેશ્ય છે. વર્ગના પ્રથમ દિવસે કાર્યકર્તાઓની 100 ટકા હાજરી નોંધાઈ હતી.
Read full article on Divya Bhaskar