top
ગિરનારના સેટલમેન્ટ વિસ્તારમાં વન વિભાગની દમનગીરી સામે જનઆક્રોશ :જૂનાગઢમાં સંતો અને શ્રદ્ધાળુઓને હેરાન કરવાનો વન વિભાગ પર ગંભીર આક્ષેપ,કલેક્ટરને આવેદન પાઠવી ઉગ્ર આંદોલનની આપી ચીમકી.
જૂનાગઢમાં ગિરનારના જંગલ વિસ્તારમાં આવેલા સેટલમેન્ટના હિન્દુ સનાતની સ્થળો પર વન વિભાગ દ્વારા કરવામાં આવતી કથિત દમનગીરી અને હેરાનગતિનો વિરોધ ઉગ્ર બન્યો છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના જૂનાગઢના જિલ્લા અધ્યક્ષ અભિષેક પટોળિયા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનમાં ગંભીર આક્ષેપ કરાયો છે કે ગિરનારના મંકોડી સેટલમેન્ટમાં સ્થાનિક ધાર્મિક જગ્યાઓના અબાધિત હક્કોનો સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં, વન વિભાગ દ્વારા ત્યાં રહેતા સંતો-મહંતો, સેવાધારી ભક્તો અને બહારથી આવતા પ્રવાસીઓને અટકાવીને ખોટી રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ મુદ્દે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના વિભાગ મહામંત્રી ગૌરવ સુખાનંદીએ જણાવ્યું હતું કે ગિરનાર ક્ષેત્રમાં આવેલા હિન્દુ દેવસ્થાનોના સંતો-મહંતો તેમજ ત્યાં દર્શનાર્થે આવતા ભક્તજનો પર વન વિભાગ અવારનવાર મનઘડત કાયદાઓ અને નિયમો લાદી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ક્યારેક 12 વર્ષથી નાના બાળકોની પ્રવેશબંધી કરી દેવાય છે, તો ક્યારેક સાયલન્સ ઝોન જાહેર કરાય છે. સેટલમેન્ટની અંદર ધાર્મિક સ્થાનોને અબાધિત અધિકાર મળેલા હોવા છતાં આ તમામ દેવસ્થાનો પર દમનકારી પ્રવૃત્તિ ચાલી રહી છે. જો આ અંગે વહેલી તકે ઉકેલ નહીં લાવવામાં આવે તો આ જનઆક્રોશ આવનારા દિવસોમાં રાજ્યવ્યાપી અને રાષ્ટ્રવ્યાપી આંદોલનનું સ્વરૂપ ધારણ કરશે. આવેદનપત્રમાં ધાર્મિક સ્થળો પર વન વિભાગના તોછડા વર્તન અંગે વિગતો આપવામાં આવી છે. આત્મેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થે આવતા પરિવારના નાના બાળકોને રોકવામાં આવે છે. આ સાથે જટાશંકર મહાદેવ જતા શ્રદ્ધાળુઓનું ગેરકાયદેસર ચેકિંગ કરવામાં આવે છે અને પ્રાચીન ગૌમુખી ગંગાના ઝરણામાં ન્હાવાની મનાઈ કરી અણછાજતું વર્તન કરાય છે. જટાશંકર જવાનો રસ્તો રેવન્યુ વિસ્તારમાં આવતો હોવા છતાં વન અધિકારીઓ રોફ જમાવી રહ્યા છે. બીજી તરફ દામોદર તીર્થ ખાતે 8 થી 10 ફૂટ લાંબા મગરો આવી ચડતા હોવા છતાં કોઈ સુરક્ષા કે તકેદારી રાખવામાં આવતી નથી. જંગલી પશુઓના હુમલા વધવા પાછળ વન વિભાગના કાયદાઓ જવાબદાર હોવાનો આક્ષેપ કરીને આ અંગે તપાસ કમિટી રચવાની માંગ કરાઈ છે. આ ઉપરાંત વિકસિત ભારતના દાવાઓ વચ્ચે ગિરનાર જંગલ સેટલમેન્ટના વિસ્તારોમાં લાઈટ, પીવાનું પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. વન વિભાગની આકરી નીતિઓના કારણે છેલ્લા 5 વર્ષમાં બહારગામથી આવતા યાત્રાળુઓ અને પ્રકૃતિપ્રેમીઓની સંખ્યા ઘટી છે, જેનાથી જૂનાગઢના આધ્યાત્મિક વારસાને નુકસાન થઈ રહ્યું છે. આવેદનમાં પર્યાવરણ સંરક્ષણની સાથે સદીઓ જૂની સંત-પરંપરા અને સ્થાનિક રોજગારી વચ્ચે સંતુલન જાળવવાની અપીલ કરાઈ છે. તમામ હિન્દુ સંગઠનોએ વહીવટી તંત્રને આ સમસ્યાઓના નિરાકરણ માટે 2 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો ઉકેલ નહીં આવે તો સાધુ-સંતોને સાથે રાખીને શાંતિપૂર્વક વિરોધ કાર્યક્રમો આપવામાં આવશે. આ આવેદનપત્રની નકલ મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓને મોકલી આપવામાં આવી છે.
Read full article on Divya Bhaskar