politics
ગોધરામાં નગરપાલિકાની કામગીરી સામે રહીશોમાં રોષ:રસ્તાના ખાડા પૂરવા જાતે જ મેદાને ઉતર્યા, શ્રમદાન કરી આત્મનિર્ભર બનવા મજબૂર બન્યાં
ગોધરા શહેરના બામરોલી વિસ્તારમાં આવેલા માણેકચોક રજવાડી ટેકરી સોસાયટીના રહીશોએ નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે રોષ વ્યક્ત કર્યો છે. રસ્તાઓની બિસ્માર હાલત અને મોટા ખાડાઓને કારણે હાલાકી ભોગવી રહેલા રહીશોએ આખરે જાતે જ ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી હતી. સોસાયટી તરફ જતા મુખ્ય માર્ગ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે. આ ખાડાઓને કારણે વાહનચાલકો તેમજ સ્થાનિક રહીશોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. રસ્તાની આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ નક્કર ઉકેલ આવ્યો નહોતો. આથી, કંટાળીને સોસાયટીના રહીશોએ એકઠા થઈને રોડા અને માટી વડે ખાડા પૂરવાનું શ્રમદાન શરૂ કર્યું હતું. આ ઘટનાએ સ્થાનિક નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ સોસાયટીમાં મોટાભાગે સરકારી કર્મચારીઓ, શિક્ષકો સહિત શિક્ષિત અને કરદાતા વર્ગના લોકો વસવાટ કરે છે. તેમ છતાં, પ્રાથમિક સુવિધા સમાન રસ્તા માટે પણ તેમને જાતે જ શ્રમદાન કરવાની ફરજ પડી રહી છે, જે તંત્રની બેદરકારી દર્શાવે છે.રહીશોની માંગ છે કે નગરપાલિકા તંત્ર તાત્કાલિક ધોરણે આ રસ્તાનું યોગ્ય સમારકામ કરાવે અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે કાયમી ઉકેલ લાવે.
Read full article on Divya Bhaskar