politics
હિન્દુ સંગઠનોની માંગ: શ્રાવણ માસમાં કતલખાના બંધ રખાય:પાલનપુર નગરપાલિકાને આવેદનપત્ર અપાયું, કડક કાર્યવાહીની પણ માંગ
પાલનપુરમાં હિન્દુ સંગઠનો દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શહેરના કતલખાના બંધ રાખવાની માંગ કરવામાં આવી છે. આ અંગે પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે શ્રાવણ માસ હિન્દુ સમાજ માટે આસ્થા અને ધાર્મિક ભાવનાનો પવિત્ર મહિનો છે. આ સમયગાળા દરમિયાન કતલખાના બંધ રાખવાથી ધાર્મિક લાગણીઓનું સન્માન થશે અને શહેરમાં શાંતિ તથા સૌહાર્દનું વાતાવરણ જળવાઈ રહેશે. રજૂઆત દરમિયાન ચીફ ઓફિસરે સંગઠનની માંગને ગંભીરતાથી ધ્યાનમાં લઈ જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. વિશ્વ હિન્દુ પરિષદ પાલનપુર નગર પ્રખંડ અને બજરંગ દળ દ્વારા કલેક્ટર અને નગરપાલિકાને પણ આ જ વિષય પર આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં શ્રાવણ મહિનો અને પર્યુષણ જેવા પવિત્ર તહેવારો દરમિયાન નગરમાં ચાલતા કતલખાના, માંસાહારની હોટલો અને લારી-ગલ્લા બંધ રાખવા હુકમ કરવાની માંગ કરાઈ છે. સંગઠનોએ હુકમનો ભંગ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે શ્રાવણ મહિનો હિન્દુ આસ્થાનો પવિત્ર મહિનો છે, જેમાં લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે તે માટે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સ મુજબ સરકાર, કલેક્ટર અને નગરપાલિકા કાર્યવાહી કરે તેવી તેમની માંગણી છે. આ પ્રસંગે હિન્દુ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Read full article on Divya Bhaskar