top
હત્યાના આરોપીને આજીવન કેદની સજા:રિક્ષા કટ મારવા જેવી સામાન્ય બાબતે મૃતકને છરી વડે રહેંસી નાખ્યો
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં વર્ષ 2019 દરમિયાન રિક્ષા કટ મારવા જેવી સામાન્ય તકરારમાં યુવકની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવાના ચકચારી કેસમાં અમદાવાદ સીટી સેશન્સ કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સખત સજા ફટકારી છે. સીટી સેશન્સ કોર્ટના જજ એસ.આર. સાંગાણીએ સરકારી વકીલ હિમાંશુ આર. શાહની ધારદાર દલીલો, 16 સાક્ષીઓની જુબાની તેમજ 31 જેટલા મજબૂત દસ્તાવેજી પુરાવાઓને માન્ય રાખીને આરોપી યોગેશકુમાર પરમારને આજીવન કારાવાસ અને 50,000નો દંડ ભરવાનો મહત્વપૂર્ણ હુકમ સંભળાવ્યો છે. રિક્ષા કટ મારવાની મામૂલી તકરારમાં છરીના ઘા ઝીંક્યા બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, 31 માર્ચ 2019ના રોજ રાત્રે આશરે 8.30 વાગ્યાની આસપાસ અમરાઈવાડી સ્વાસ્તિક ચાર રસ્તા પાસે મેટ્રો બ્રિજ નીચે રિક્ષા કટ મારવા જેવી સામાન્ય બાબતે આરોપી યોગેશકુમાર પરમારે દેવકીનંદન રાઠોડ નામના યુવક સાથે ઉગ્ર ઝઘડો શરૂ કર્યો હતો. બોલાચાલી એટલી હદે વધી ગઈ હતી કે આરોપીએ પોતાની પાસે રહેલી અણીદાર છરી કાઢીને મૃતકના ડાબા ભાગની છાતી પર ઉપરાઉપરી 2 ગંભીર ઘા મારી દીધા હતા. હુમલા દરમિયાન દેવકીનંદને પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરતાં તેના બંને હાથની હથેળીઓ પર પણ ગંભીર ઇજાઓ થઈ હતી. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક એલ.જી. હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન ટૂંકી મુદતમાં તેમનું મોત નીપજ્યું હતું. ભાઈ પ્રત્યક્ષદર્શી સાક્ષી બન્યા અને મેડિકલ પુરાવાએ ગુનો સાબિત કર્યો કોર્ટ કાર્યવાહી દરમિયાન સામે આવ્યું હતું કે મૃતકના ભાઈ આ સમગ્ર ઘટનાના નજરે જોનાર પ્રત્યક્ષદર્શી સાક્ષી હતા અને તેમણે આરોપીને છરી વડે હુમલો કરતાં સ્પષ્ટપણે જોયો હતો. પંચનામા, હોસ્પિટલના રેકોર્ડ તેમજ પોસ્ટમોર્ટમ કરનાર તબીબના તબીબી પુરાવા મુજબ છાતીમાં ઊંડે સુધી છરી વાગવાને કારણે હૃદય અને ફેફસાને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. આ ગંભીર ઇજાના પરિણામે થયેલા ભારે આંતરિક રક્તસ્રાવ અને શૉકથી યુવકનું કરુણ મોત નીપજ્યું હોવાનું સ્પષ્ટ સાબિત થયું હતું. આ ઉપરાંત પોલીસે આરોપીની ધરપકડ બાદ તેની નિશાનદેહીથી હત્યામાં વપરાયેલું ઘાતક હથિયાર પણ રિકવર કર્યું હતું. શસ્ત્રબંધી ભંગ સાથે હત્યાનો ઈરાદો પૂરવાર થતાં સજા ફટકારી કોર્ટે પોતાના ચુકાદામાં મહત્વપૂર્ણ અવલોકન નોંધ્યું હતું કે જાહેર માર્ગ પર મેટ્રો બ્રિજ નીચે લોકોની અવરજવર વચ્ચે ઘાતક હથિયાર સાથે રાખી કોઈના શરીરના મહત્વપૂર્ણ અંગ પર જીવલેણ ઘા મારવા તે હત્યા કરવાનો પૂર્વયોજિત ઈરાદો જ દર્શાવે છે. વધુમાં તે સમયે સમગ્ર વિસ્તારમાં જાહેરનામા હેઠળ શસ્ત્રબંધી અમલમાં હોવાથી આરોપીએ ગુજરાત પોલીસ એક્ટની કલમોનો પણ ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. અદાલતે તમામ પરિબળો અને પુરાવાઓને ધ્યાને રાખી આરોપી યોગેશકુમાર પરમારને આજીવન કારાવાસ તેમજ 50,000ના દંડની આકરી સજા ફટકારીને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો છે.
Read full article on Divya Bhaskar