Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
ચૈતર વસાવાને હાઈકોર્ટે શરતોને આધીન હંગામી જામીન આપ્યા છે. વિધાનસભા સત્રને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે આ નિર્ણય લીધો છે. ચૈતર વસાવા એક સપ્તાહ સુધી ગાંધીનગરમાં જ રહેશે. તેમજ હાઈકોર્ટે તેમને મીડિયા સાથે વાતચીત કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સમગ્ર મામલે AAPના પ્રદેશ અધ્યક્ષે પ્રથમ પ્રતિક્રિયા આપી છે.
ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે કરાયેલી અરજી પર હાઈકોર્ટે તેમને 7 દિવસના શરતી હંગામી જામીન મંજૂર કર્યા છે. જેલમાંથી મુક્ત થયા બાદ સાત દિવસ સુધી આ રાહત રહેશે. જોકે, આ સમયગાળા દરમિયાન ચૈતર વસાવા ગાંધીનગર છોડી શકશે નહીં અને વિધાનસભાના સત્રમાં ફરજિયાત હાજરી આપવી પડશે. ચૈતર વસાવાએ વિધાનસભાના ચોમાસુ સત્રમાં પોતાના વિસ્તારના જનપ્રશ્નો રજૂ કરવા માટે જામીનની માંગ કરી હતી, જેને સ્વીકારીને કોર્ટે શરતી મંજૂરી આપી છે.
ચૈતર વસાવા હાલમાં વનકર્મીઓ સાથે થયેલા વિવાદ અને હુમલાના કેસમાં સજા ભોગવી રહ્યા છે. નર્મદા કોર્ટે ચૈતર વસાવા સહિત કુલ આઠ લોકોને સાત વર્ષની કેદની સજા ફટકારી હતી. આ સજા બાદ પણ તેમનું ધારાસભ્ય પદ યથાવત છે. સામે આવેલી વિગતો અનુસાર ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ કરવા સરકારમાંથી અધ્યક્ષને દરખાસ્ત કરાઈ નથી. તેથી તેમના સભ્યપદ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.