top
જુગારી પતિ-સાસરીયાના ત્રાસથી શિક્ષિકાનો ગળેફાંસો ખાઈ આપઘાત:સુરતના યુવક સાથે બીજા લગ્ન કર્યા હતા, પિયરમાંથી રૂપિયા લાવવા મારઝૂડ કરતા 4 સામે ગુનો દાખલ
સુરતના વરીયાવ-અમરોલી વિસ્તારમાં સાસરીયાંના શારીરિક-માનસિક ત્રાસ અને જુગારી પતિની હેરાનગતિથી કંટાળીને એક ખાનગી સ્કૂલની શિક્ષિકાએ પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે રાજસ્થાનના જોધપુર ખાતે રહેતા મૃતકના પિતાએ અમરોલી પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ, સસરા અને દિયર સહિતના સાસરીયાં વિરુદ્ધ દુષ્પ્રેરણનો ગુનો નોંધાવ્યો છે. પ્રથમ લગ્ન તૂટ્યા બાદ સુરતના યુવક સાથે બીજા લગ્ન કર્યા હતા જોધપુર ખાતે રહેતા અને જ્વેલરીનો શો-રૂમ ધરાવતા બાબુલાલ સુખલાલ સોનીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની પુત્રી વિજયલક્ષ્મીના પ્રથમ લગ્ન 2008માં થયા હતા, પરંતુ મનભેદ થતાં છૂટાછેડા થયા હતા. તેમને પ્રથમ લગ્નથી એક દીકરી છે. ત્યારબાદ 2020માં વિજયલક્ષ્મીના બીજા લગ્ન અમરોલી, વરીયાવ સ્થિત ઓપેરા ક્રિસ્ટલમાં રહેતા પીન્ટુકુમાર જયંતિલાલ સીમીજીયા સાથે સામાજિક રીત-રિવાજ મુજબ થયા હતા. દીકરીએ નાનાને ફોન કરી જાણ કરી, પપ્પાએ મમ્મી સાથે ઝઘડો કરી માર માર્યો ગત 23 જુલાઈ, 2026ના રોજ સાંજે વિજયલક્ષ્મીની દીકરી માન્યાએ જોધપુર રહેતા નાના બાબુલાલને ફોન કરીને રડતાં-રડતાં જણાવ્યું હતું કે, પપ્પા પીન્ટુકુમારે મમ્મી સાથે જોરદાર ઝઘડો કરી માર માર્યો હતો, જેથી મમ્મીએ ઘરમાં છતના પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો છે. દાદા અને કાકાએ કોઈને બોલાવવાની પણ ના પાડી છે. પતિ અને સસરા જુગાર રમવાના રવાડે ચઢ્યા, ઘરખર્ચ આપતા નહોતા લગ્નના પાંચેક મહિના સુધી સંસાર બરાબર ચાલ્યા બાદ પતિ પીન્ટુકુમાર અને સસરા જયંતિલાલને જુગાર રમવાની લત લાગી ગઈ હતી. તેઓ વિજયલક્ષ્મીને ઘરખર્ચના રૂપિયા પણ આપતા નહોતા. ઘર ચલાવવામાં તકલીફ પડતી હોવાથી વિજયલક્ષ્મી સુરતની એક ખાનગી સ્કૂલમાં ટીચર તરીકે નોકરી કરવા લાગી હતી. જોકે, તેનો પતિ અને સસરા તેનો પગાર પણ પડાવી લેતા હતા અને પિયરમાંથી પૈસા લાવવા દબાણ કરી અવારનવાર મારઝૂડ કરતા હતા. મોપેડ લેવાના પૈસામાંથી પતિ 50 હજાર જુગારમાં હારી ગયો વિજયલક્ષ્મીને સ્કૂલે આવવા-જવા માટે મોપેડ લેવું હોવાથી પિતાએ દીકરીના ખાતામાં ₹૧ લાખ ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ તેમાંથી પણ પતિ પીન્ટુકુમારે ₹50,000 લઈ જુગારમાં વાપરી નાખ્યા હતા. દાગીના પણ વેચી દીધા આ ઉપરાંત પિતાએ દીકરીને આપેલા વોશિંગ મશીન, ફ્રિજ, ટીવી સહિતના સાધનો ઉપરાંત સોનાના ઘરેણાં પણ જમાઈ પીન્ટુકુમારે ગીરવે મૂકી બાદમાં વેચી મારી પૈસા ઉડાવી દીધા હતા. ગત ફેબ્રુઆરી માસમાં પણ સાસરીયાંઓએ માર મારતાં પિતાએ દીકરીને 50 હજાર મોકલ્યા હતા. 4 સાસરીયાં વિરુદ્ધ અમરોલી પોલીસે ગુનો નોંધ્યો ઘટનાની જાણ થતાં પિતા અને પરિવારજનો તાત્કાલિક જોધપુરથી સુરત દોડી આવ્યા હતા. અંતિમવિધિ પૂર્ણ કર્યા બાદ પિતા બાબુલાલ સોનીએ અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મૃતકના પતિ પીન્ટુકુમાર જયંતિલાલ સીમીજીયા, સસરા જયંતિલાલ, સાસુ ભાવનાબેન, દિયર રાજેન્દ્ર અને દેરાણી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar