top
જૂનાગઢ સેશન્સ કોર્ટે દર્શન મેસવાણીયાના જામીન ફગાવ્યા:21 વિદ્યાર્થીઓની 11 લાખથી વધુની શિષ્યવૃત્તિ ચાઉં કરનાર માસ્ટરમાઇન્ડ જેલહવાલે, જન્માષ્ટમી જેલમાં જ વિતશે
જૂનાગઢના ચકચારી એસસી-એસટી સ્કોલરશીપ અને બોગસ ડિગ્રી કૌભાંડના મુખ્ય આરોપી દર્શન નટવરદાસ મેસવાણીયાની રેગ્યુલર જામીન અરજી જૂનાગઢની સેશન્સ કોર્ટે સ્પષ્ટપણે ફગાવી દીધી છે. જૂનાગઢના 6ઠ્ઠા એડિશનલ સેશન્સ જજ અમિત રમેશભાઈ રાણાએ ગુનાની ગંભીરતા અને તપાસ હજુ ચાલુ હોવાના આધારો ધ્યાને રાખીને આરોપીને રાહત આપવાનો ઇનકાર કર્યો છે. વિદ્યાર્થીઓના શિક્ષણ અને કલ્યાણ માટે સરકાર તરફથી અપાતી શિષ્યવૃત્તિના નાણાં બારોબાર ચાઉં કરવાના આ સંવેદનશીલ આર્થિક કૌભાંડમાં નામદાર અદાલતે કડક વલણ દાખવતાં હવે માસ્ટરમાઇન્ડ દર્શન મેસવાણીયાએ આગામી જન્માષ્ટમીનો તહેવાર જેલના સળિયા પાછળ જ ગાળવો પડશે. મેંદરડાથી જૂનાગઢ સુધી ગોરખધંધાનું મોટું નેટવર્ક ઊભું કર્યું પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર આરોપી દર્શન મેસવાણીયાએ વર્ષ 2018 માં મેંદરડા ખાતે 'આશાપુરા કોમ્પ્યુટર એન્ડ એજ્યુકેશન ક્લાસીસ' થી પોતાના કાળા કારોબારની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે વર્ષ 2021 માં જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં 'ગુજરાત એજ્યુકેશન' નામે નવી ઓફિસ શરૂ કરી હતી. કોરોના કાળ બાદ તેણે ફીનો પેમેન્ટ બેંક તેમજ ખાનગી કંપનીઓના સિમકાર્ડની ફ્રેન્ચાઇઝી મેળવીને આખું ષડયંત્ર રચ્યું હતું. તે ગામડે ગામડે એજન્ટો રોકીને કમિશનની લાલચ આપી વિદ્યાર્થીઓને કોલેજ ગયા વિના સીધી ડિગ્રી અપાવવાની ખોટી લોભામણી જાહેરાતો કરતો હતો. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ મેળવી બારોબાર સ્કોલરશીપ ઉપાડી આરોપી ખાસ કરીને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ફ્રી-શિપ કાર્ડ હેઠળ મફત શિક્ષણ અપાવવાની જાળમાં ફસાવી તેમના મૂળ દસ્તાવેજો પોતાના કબજામાં લઈ લેતો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓની જાણ બહાર બેંક ખાતાઓ ખોલાવી, પાસબુક, એટીએમ કિટ તેમજ તેના આધારિત સિમકાર્ડ પોતાની પાસે રાખી લેતો હતો. સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપની રકમ સીધી જમા થતાંની સાથે જ તે ઓટીપી મેળવીને બારોબાર નાણાં પોતાના અંગત ઉપયોગમાં ઉપાડી લેતો હતો. પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે 21 વિદ્યાર્થીઓના ખાતામાંથી રૂ. 11 લાખથી વધુની ઉચાપત સામે આવી ચૂકી છે, જ્યારે દરોડા દરમિયાન 250 થી વધુ વિદ્યાર્થીઓના શંકાસ્પદ દસ્તાવેજો, 149 બેંક કિટ્સ અને 110 જેટલા અનધિકૃત સિમકાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. મેડિકલ ગ્રાઉન્ડ સામે સરકારી વકીલ અને પોલીસે કર્યો સખત વિરોધ અદાલતમાં જામીન અરજીની સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલે એવી દલીલ કરી હતી કે વાયરલ વીડિયોમાં આરોપી સીધો દેખાતો નથી અને મોટાભાગની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે. આ ઉપરાંત આરોપીને 'ફેસ અટેક' એટલે કે મોંનો લકવો આવ્યો હોવાથી તબીબી ગ્રાઉન્ડ પર જામીન મુક્ત કરવા રજૂઆત કરી હતી. તેની સામે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર એન.કે. પુરોહિત અને તપાસનીશ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. ડાંગરે સોગંદનામા રજૂ કરી કડક વિરોધ નોંધાવ્યો હતો. સરકારી પક્ષે દલીલ કરી હતી કે આ આયોજનપૂર્વક આચરાયેલો ગંભીર આર્થિક ગુનો છે, જેની તપાસ હજુ પ્રાથમિક તબક્કામાં ચાલી રહી છે. તપાસ પર અસર અને સમાજમાં ખોટો સંદેશ જવાની ભીતિએ જામીન રદ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સ્પષ્ટ નોંધ્યું હતું કે પ્રથમ નજરે આરોપીની આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર તરીકેની ભૂમિકા સાબિત થાય છે. વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ફાળવાયેલી સરકારી ગ્રાન્ટની ઉચાપત કરવી એ અત્યંત ગંભીર ગુનો બને છે. જો આરોપીને આ તબક્કે જામીન આપવામાં આવે તો તે સાક્ષીઓ અને પુરાવા સાથે છેડછાડ કરી શકે છે. જેલ પ્રશાસન દ્વારા આરોપીને યોગ્ય સારવાર પૂરી પાડવામાં આવી રહી હોવાથી માત્ર માંદગીના બહાને આટલા મોટા કૌભાંડમાં રાહત આપી શકાય નહીં. આ પ્રકારના ગંભીર આર્થિક ગુનાઓમાં ઢીલાશ દાખવવાથી સમાજમાં નકારાત્મક સંદેશ જાય તેમ હોવાનું જણાવી કોર્ટે આરોપી દર્શન મેસવાણીયાની જામીન અરજી આખરી હુકમથી ફગાવી દીધી હતી.
Read full article on Divya Bhaskar