crime
જૂની અદાવતમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો:3 આરોપી ઝડપાયા, ઘર પાસે બેઠેલા 19 ગુનાના આરોપી કલ્પેશ પારધી પર ચપ્પુના ઘા ઝીંકી પતાવી દીધો હતો
સુરતના ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા પ્રભુનગરમાં ૧૬ ઓગસ્ટની મોડી રાત્રે બનેલી સનસનાટીભરી હત્યાનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. ઘર બહાર સોસાયટીના ગેટ પાસે બેન્ચ પર બેઠેલા કલ્પેશ પારધી નામના યુવક પર બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ ચપ્પુ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ચોકબજાર પોલીસ અને LCB ની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજના આધારે નાકાબંધી કરીને સુરત છોડીને ભાગી રહેલા ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચી લીધા છે. કેવી રીતે બની સમગ્ર ઘટના? 16 ઓગસ્ટની રાત્રે આશરે 11 વાગ્યાના અરસામાં ચોકબજાર વિસ્તારના પ્રભુનગરમાં રહેતો કલ્પેશ જીવણભાઈ પારધી પોતાની સોસાયટીના નાકે આવેલી બેન્ચ પર બેઠો હતો. આ દરમિયાન એક બાઇક પર સવાર થઈને ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. ત્રણેયે અચાનક કલ્પેશ પર હુમલો કરી દીધો હતો અને તેમાંથી મુખ્ય આરોપીએ કલ્પેશની કમર તેમજ શરીરના નીચેના ભાગે ચપ્પુના ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં ગંભીર ઈજાઓ થતાં કલ્પેશનું થોડીવારમાં જ ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. CCTV અને ટોલ પ્લાઝા ચેક કરી પોલીસે ઘેરાબંધી કરી હત્યાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઝોનની LCB ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે વિસ્તારના સીસીટીવી કેમેરા તેમજ સુરત બહાર જતા ટોલ પ્લાઝાના કેમેરા તપાસ્યા હતા. જેમાં આરોપીઓ સુરત છોડીને બહાર ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંને તરફથી કડક નાકાબંધી કરતાં આરોપીઓ બહાર નીકળી શક્યા નહોતા અને આસપાસના ગામમાં છુપાવાની ફિરાકમાં હતા, તે દરમિયાન પોલીસે સક્રિયતા દાખવી ત્રણેયને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ હત્યાની ઘટનામાં ડેનિશ ઉર્ફે ડેનિયો (ઉંમર ૨૪ વર્ષ) મુખ્ય આરોપી (રહે. કતારગામ, મૂળ વતન અમરેલી.) તે હાલ બેકાર છે. તેની સામે અગાઉ ૧૬ જેટલા ગુના (મોટાભાગે પ્રોપર્ટી સંબંધિત), ૩ વખત પાસા (PASA) અને ૧ વખત તડીપારની કાર્યવાહી થઈ ચૂકી છે. ભગીરથ (ઉંમર ૨૨ વર્ષ): રહે. વેડ રોડ, મૂળ વતન ગીર સોમનાથ. તે હીરા મજૂરી કરે છે. તેની સામે ૭ ગુના અને ૨ વખત પાસા થયેલા છે. સુરેશ બાબરીયા (ઉંમર ૨૩ વર્ષ): રહે. કતારગામ, મૂળ બોટાદ. તે હીરા ઘસવાનું કામ કરે છે અને તેનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. હત્યા પાછળનું કારણ, માત્ર સામાન્ય બોલાચાલીની અદાવત પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક અને આરોપીઓ વચ્ચે કોઈ મોટી આર્થિક લેતી-દેતી કે મિલકતનો વિવાદ નહોતો. થોડા સમય પહેલાં મૃતક કલ્પેશ સાથે આરોપીઓની કોઈ સામાન્ય બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ બોલાચાલીની અંગત અદાવત રાખીને બદલો લેવા માટે ત્રણેય આરોપીઓએ પ્લાન બનાવીને કલ્પેશ પર જીવલેણ હુમલો કર્યો હતો. મૃતક પણ અગાઉ 19 ગુનામાં સંડોવાયેલો હતો પોલીસે જણાવ્યું કે મૃતક કલ્પેશ પારધીનો પણ ભૂતકાળ ગુનાહિત રહ્યો હતો. તેની સામે શરીર અને મિલકત સંબંધી અગાઉ ૧૯ જેટલા ગુના નોંધાયેલા હતા, જેમાં છેલ્લો ગુનો વર્ષ ૨૦૨૪માં નોંધાયો હતો અને હાલ તે હીરા મજૂરીનું કામ કરતો હતો. હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar