education
કાનપુરમાં ટ્રેનિંગ વિમાન ક્રેશમાં વડોદરાના પાયલટ સહિત બેના મોત:પુત્રના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ, સચિન ભાટિયાએ વડોદરામાં ધો.12 સુધી અભ્યાસ કર્યા બાદ અમેરિકા જઈ 2 વર્ષ સુધી પાયલટની તાલીમ મેળવી હતી
ઉત્તર પ્રદેશના કાનપુરમાં આજે ગુરુવારે સવારે ટ્રેનિંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં પાયલટ અને ટ્રેનીનું મોત થયું હતું. ઉડાન ભર્યાના માત્ર 20 મિનિટ બાદ ગંગા બેરેજ નજીક આશરે 5 ફૂટ ઊંચી બાઉન્ડ્રી વોલ સાથે અથડાયા બાદ વિમાન ખેતરમાં જઈને તૂટી પડ્યું હતું. મૃતકોમાં વડોદરાના પાયલટ સચિન ભાટિયાનો પણ સમાવેશ થાય છે. પુત્રના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ગુરુવારે સવારે 11:30 વાગ્યે ટ્રેનિંગ વિમાને ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાના આશરે 20 મિનિટ બાદ એટલે કે 11:50 વાગ્યે ગંગા બેરેજ નજીક વિમાન અચાનક ડગમગાયું હતું અને બાઉન્ડ્રી વોલ સાથે અથડાયા બાદ ખેતરમાં જઈને પટકાયું હતું. દુર્ઘટનામાં વિમાનના ટુકડા દૂર સુધી વેરાઈ ગયા હતા. જોકે, સદનસીબે વિમાનમાં આગ લાગી નહોતી. દુર્ઘટના સમયે વિમાન જમીનથી આશરે 200થી 250 ફૂટની ઊંચાઈએ હતું. અચાનક વિમાન હવામાં ડગમગાયું અને ક્ષતિગ્રસ્ત થઈ નીચે પટકાયું હતું. અકસ્માત બાદ વિમાન સંપૂર્ણપણે તૂટી ગયું હતું. ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં વિમાનનો કાટમાળ ખેતરમાં વેરાયેલો જોવા મળે છે. એક પાયલટ કોકપિટ પાસે ફસાઈ ગયો હતો, જ્યારે બીજો ગંભીર હાલતમાં વિમાનથી થોડે દૂર લોહીલુહાણ પડેલો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને વહીવટી તંત્રની ટીમ આશરે 12:15 વાગ્યે સ્થળ પર પહોંચી હતી. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ ગુજરાતના વડોદરાના પાયલટ સચિન ભાટિયા અને કર્ણાટકના ટ્રેની અભિષેક પુજારી તરીકે થઈ હતી. હોસ્પિટલમાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સચિન ભાટિયા વડોદરાના રહેવાસી હતા. તેમણે વડોદરામાં ધોરણ-12 સુધીનો અભ્યાસ કર્યા બાદ અમેરિકા જઈ પાયલટની તાલીમ મેળવી હતી. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ વડોદરા પરત ફર્યા હતા અને શહેરની ફ્લાઈંગ ક્લબમાં ફરજ બજાવતા હતા. જોકે, વડોદરાની ફ્લાઈંગ ક્લબ બંધ થઈ જતા સચિન છેલ્લા એક વર્ષથી કાનપુર ખાતે ફરજ બજાવતા હતા. ગુરુવારે ટ્રેનિંગ ફ્લાઈટ દરમિયાન બનેલી દુર્ઘટનામાં તેમનું અચાનક મોત થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. સચિન ભાટિયાના પરિવારમાં માતા-પિતા, પત્ની અને પાંચ વર્ષની પુત્રી છે. તેમના પિતા સત્યેન્દ્ર ભાટિયા પેટ્રોલ પંપના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરિવારના એકમાત્ર પુત્રના અચાનક મોતના સમાચાર મળતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
Read full article on Divya Bhaskar