politics
ખડગેના અપમાન મુદ્દે જૂનાગઢમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન:હલ્દવાનીમાં મલ્લિકાર્જુન ખડગેની સભા બાદ ભાજપ દ્વારા કરાયેલા શુદ્ધિકરણના વિરોધમાં જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા પદયાત્રા યોજાય તે પહેલા પોલીસે ડિટેઇન
હલ્દવાનીમાં કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલી પૂર્ણ થયા બાદ સ્થળ પર ગંગાજળ છાંટીને શુદ્ધિકરણ તથા યજ્ઞ કરવાની ઘટના સામે આવી હતી. ભાજપના લોકો દ્વારા કરવામાં આવેલા આ કૃત્યના વિરોધમાં જૂનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા ભારે રોષ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ સરદાર ચોક ખાતે એકઠા થયા હતા અને ત્યાંથી કાળવા ચોક સુધી પદયાત્રા યોજીને પોતાનો આક્રોશ વ્યક્ત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે પદયાત્રા શરૂ થાય તે પહેલા જ પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. આ અંગે આક્રોશ વ્યક્ત કરતા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે જણાવ્યું હતું કે હલ્દવાનીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ભાષણ અને દેશહિતના કાર્યક્રમ બાદ ભાજપના લોકો દ્વારા ગંગાજળ છાંટીને યજ્ઞ કરવાનું ઘૃણાસ્પદ કૃત્ય કરવામાં આવ્યું છે. આ નિંદનીય ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે. બાબાસાહેબ આંબેડકરે રચેલા બંધારણમાં સામાજિક ન્યાય અને સમાનતાની જોગવાઈ છે, પરંતુ ભાજપ દ્વારા દેશમાં અસ્પૃશ્યતા ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રાજ્યસભાના વિપક્ષી નેતા અને રાષ્ટ્રીય અધ્યક્ષ કક્ષાના નેતા સાથે આવું વર્તન સામાજિક સમાનતા પર પ્રહાર છે. પોલીસે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા કાર્યકરોને ડિટેઈન કરવાનું કામ કર્યું છે જે અત્યંત આક્ષેપજનક છે. કોંગ્રેસ નેતા કરશન ભાદરકાએ ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે રામલીલા મેદાનમાં શુદ્ધિકરણના નામે સંસ્કૃતિનું અપમાન અને બંધારણ પર આક્રમણ કરવામાં આવ્યું છે. રામના નામે રાજકારણ કરતા લોકો રામાયણ અને સનાતન શાસ્ત્રોનું અનાદર કરી રહ્યા છે. જો ભાજપે ખરેખર શુદ્ધિકરણ જ કરવું હોય તો દેશમાં વધતી જતી આર્થિક અસમાનતા, કચરાપેટી જેવી બનેલી શિક્ષણ વ્યવસ્થા અને દેવાદાર બનીને આપઘાત કરી રહેલા દેશના કિસાનની સ્થિતિનું શુદ્ધિકરણ કરવું જોઈએ. ભાજપની નબળી નીતિઓને કારણે દેશનો તાત હેરાન થઈ રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે દેશનું વર્ગીકરણ કરીને ભારતને તોડવાનો ગમે એટલો પ્રયાસ કરવામાં આવશે તો પણ કોંગ્રેસનો એક એક સિપાઈ અને લોકશાહી પ્રેમી નાગરિક તેને સફળ થવા દેશે નહીં. ભાજપના લોકો દેશપ્રેમના કપડાં પહેરીને દેશદ્રોહ જેવું કામ કરી રહ્યા છે. આ અપમાન માત્ર ખડગેનું નથી પરંતુ બંધારણ, સનાતન ધર્મ અને રાષ્ટ્રપ્રેમીઓનું અપમાન છે જેને દેશ ક્યારેય ચલાવી લેશે નહીં. તપાસના પોકળ દાવા કરવાને બદલે ભાજપે દેશપ્રેમીઓ અને ધર્મની માફી માંગવી જોઈએ. ૮૪ વર્ષના વયસ્ક નેતાનું સન્માન જાળવવામાં નિષ્ફળ ગયેલા લોકો દેશની સંસ્કૃતિનું પણ અપમાન કરી રહ્યા છે.
Read full article on Divya Bhaskar