top
LCBએ પવનચક્કી કોપર વાયર ચોર ગેંગનો પર્દાફાશ કર્યો:ચાર ઝડપાયા, છ ફરાર; ₹16.54 લાખનો મુદ્દામાલ જપ્ત
જામનગર LCB એ શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવનચક્કીના ટાવરમાંથી કોપર વાયર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી ચોરીનો કોપર વાયર, વાહનો, મોબાઇલ ફોન સહિત કુલ ₹16,54,700 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય છ આરોપીઓની શોધખોળ ચાલુ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, 24 જુલાઈની રાત્રિના સમયે શેઠવડાળાથી જશાપર ગામ તરફ જવાના રસ્તા પર આવેલા સુઝલોન રિન્યુએબલ ડેવલપમેન્ટ લિમિટેડના ટાવર લોકેશન નંબર-505 ખાતેના કન્ટેનરનું તાળું તોડી અંદર રાખેલા લાકડાના ડ્રમમાંથી આશરે 375 મીટર કોપર વાયરની ચોરી કરવામાં આવી હતી. આ વાયરની કિંમત ₹10,84,600 હતી. આ અંગે ધ્રાફા ગામના યુવરાજસિંહ જુવાનસિંહ જાડેજાએ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરીના ગુનાઓ ઉકેલવા માટે LCB દ્વારા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે, જામનગર શહેરના મહાકાળી સર્કલ પાસે આવેલા જય માતાજી સ્ક્રેપના ભંગારના ડેલામાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન, શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવનચક્કીના ટાવરમાંથી ચોરી કરાયેલા કોપર વાયરના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં બાલાભાઈ અમરશીભાઈ વાઘેલા (ઉંમર 30, રહે. લતીપર રોડ, ધ્રોલ), જસરાજ ઉર્ફે જગદીશ ઘેલાભાઈ માતંગ (ઉંમર 34, રહે. બેડગામ બસ સ્ટેશન પાસે), શનિ પ્રેમજીભાઈ પરમાર (ઉંમર 23, રહે. સિક્કા ગામ, ભગવતીપરા) અને વિપુલભાઈ રમેશભાઈ રાઠોડ (ઉંમર 32, રહે. ખોડીયાર કોલોની, મયુરનગર, જામનગર) નો સમાવેશ થાય છે. આ ગુનામાં ધીરુ મનજી સોલંકી, સંજય જેન્તીભાઈ દેવીપુજક, અજય સોલંકી, પ્રવિણ ઉર્ફે કરીમો ગોવિંદભાઈ વાઘેલા, કિશોરભાઈ બચુભાઈ સોલંકી અને સુનીલ કિશોરભાઈ સોલંકી સહિત અન્ય છ આરોપીઓની સંડોવણી પણ સામે આવી છે. તેમને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કુલ 488 કિલો જેટલો કોપર વાયર, વાયર પરથી ઉતારેલી પ્લાસ્ટિકની રબરની ભૂંગળીઓ, ધારદાર સાધન, ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી બજાજ મેક્સિમા રિક્ષા, મારૂતિ સુઝુકી સ્વિફ્ટ કાર અને ચાર મોબાઇલ ફોન સહિત કુલ ₹16,54,700 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીથી શેઠવડાળા પોલીસ સ્ટેશનનો ચોરીનો ગુનો ઉકેલાઈ ગયો છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી કેટલાકનો અગાઉ પણ ચોરી, પ્રોહિબિશન અને અન્ય ગુનાઓમાં ગુનાહિત ઇતિહાસ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ સમગ્ર કાર્યવાહી LCB પીઆઇ વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી. ભાટીયા અને LCB સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
Read full article on Divya Bhaskar