top
લોકમેળામાં રૂ.20 ની ચોકબારના રૂ.25 વસૂલી લૂંટ !:રાજકોટના રેસકોર્સ મેદાનમાં નાના ફેરિયાઓનો સામાન તોડતો સિક્યુરિટી ઇન્ચાર્જ, એજન્સીને નોટિસ ફટકારાશે
રાજકોટનો લોકમેળો લૂંટ મેળો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અહીં આઇસ્ક્રીમના સ્ટોલમાં MRP મૂજબ રૂ.20 ની ચોકબારના રૂ.25 વસૂલવામાં આવતા હોવાનો આક્ષેપ છે. જ્યારે અહીં નાના ધંધાર્થીઓ પર સિતમ ગુજારવામાં આવતું હોવાનો વિડિયો વાયરલ થયો છે જેમાં એક સિક્યુરિટી ગાર્ડ લાકડી લઈને નાના ધંધાર્થીઓની ચીજ વસ્તુઓમાં તોડીફોડી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. શહેરના રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમી લોકમેળાના બીજા દિવસે 2 અલગ અલગ વીડિયો વાયરલ થયા છે. જેમાં એક આઇસક્રીમ પાર્લરમાં સ્ટોલ ધારક દ્વારા દાદાગીરી કરી રૂ.20 ની ચોકબારના રૂ.25 વસૂલવામાં આવી રહ્યા હતા. આ વેપારીને વહીવટી તંત્રનો જાણે ડર જ ન હોય તે રીતે બેફામ લૂંટ ચલાવવામાં આવતી હોવાના આક્ષેપો સાથેનો વિડીયો વાયરલ થયો છે જોકે આ વીડિયોના આધારે વહીવટી તંત્ર તપાસ કરે તે જરૂરી છે. આ ઉપરાંત લોકમેળાનો અન્ય એક વિડીયો પણ વાયરલ થયો છે જેમાં એક સિક્યુરિટી ગાર્ડ નાના ફેરિયાઓ પર લાકડીઓથી સિતમ ગુજારતો હોવાનું સામે આવ્યું છે. જેમાં તે સિક્યુરિટી ગાર્ડ લાકડી લઈ નાના ફેરિયાઓની ચીજ વસ્તુઓ તોડી નુકસાન પહોંચાડે છે. સિક્યુરિટી ગાર્ડની જોહુકમીભર્યો આ વીડિયો નિહાળી મેળામાં ઉપસ્થિત સૌ કોઈ અચંબિત થઈ ગયા હતા. કલેક્ટર તંત્ર દ્વારા ગ્રોમોર સિક્યુરિટી એજન્સીને કોન્ટ્રાક આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે અને લાકડીઓથી નાના ફેરિયાઓની ચીજવસ્તુઓ તોડતો સિક્યુરિટી ઇન્ચાર્જ જીતેન્દ્રસિંહ પરિહાર હોવાનું સામે આવ્યું છે. એક તરફ જ્યારે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા નાના વેપારીઓ, ફેરિયાઓ અને સ્વરોજગાર શરૂ કરવા માગતા લોકો માટે માનવ ગરિમા યોજના, વાજપેયી બેન્કેબલ યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના અને પીએમ સ્વનિધિ યોજના અમલમાં મૂકવામાં આવી છે ત્યારે બીજી તરફ આ નાના ફેરીયાઓને લોકમેળા દરમિયાન પોતાની રોજી રોટી મેળવી શકે તે માટે પ્રોત્સાહન આપવાની બદલે સિક્યુરિટી ગાર્ડ દ્વારા લાકડીઓ વીંઝી સિતમ ગુજારવામાં આવતા આશ્ચર્ય જનમ્યું છે. આ બાબતે લોકમેળા સમિતિના અધ્યક્ષ એવા પુરવઠા અધિકારી અજય ઝાંપડાએ જણાવ્યું હતું કે, સિક્યુરિટી ગાર્ડનો વિડીયો મારા ધ્યાનમાં આવ્યો છે અને મેં સિક્યુરિટી એજન્સીને નોટિસ ફટકારવા માટે પશ્ચિમ મામલતદારને આદેશ આપ્યો છે. જ્યારે આઇસક્રીમ પાર્લરમાં વધુ રૂપિયા લેવામાં આવતા હોવા અંગે તોલમાપ શાખાને તપાસ કરી કાર્યવાહી માટે જણાવવામાં આવશે.
Read full article on Divya Bhaskar