politics
લઠ્ઠાકાંડમાં શક્તિસિંહ ગોહિલના સરકાર પર આકરા પ્રહાર:હાઇકોર્ટના સિટિંગ જજની દેખરેખ હેઠળ તપાસ અને મોટા માથાઓ સામે કાર્યવાહીની માંગ
ભાવનગર ખાતે સર્જાયેલા ગંભીર લઠ્ઠાકાંડની ઘટનાને પગલે રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે અન્ય આગેવાનો સાથે હોસ્પિટલ પહોંચીને પીડિતોની મુલાકાત લીધી હતી. દર્દીઓની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ તેમણે સરકારની નીતિઓ અને ઢીલી કામગીરી સામે આકરા પ્રહારો કર્યા હતા. શક્તિસિંહ ગોહિલે સમગ્ર મામલે હાઇકોર્ટના સિટિંગ જજના સુપરવિઝન હેઠળ નિષ્પક્ષ તપાસ કરાવવા, અસરગ્રસ્તોને શ્રેષ્ઠ તબીબી સારવાર પૂરી પાડવા તેમજ મૃતકોના નિરાધાર પરિવારોને તાત્કાલિક યોગ્ય આર્થિક સહાય ચૂકવવાની ઉગ્ર માંગણી કરી છે. હોસ્પિટલમાં એક દર્દીનું હાર્ટ બંધ થઈ ગયું હતું ભાવનગર સરકારી હોસ્પિટલની મુલાકાત દરમિયાન શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ અતિશય કરુણ અને અકલ્પનીય દુર્ઘટના છે, જેમાં ટપોટપ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હાલમાં પણ કેટલાક દર્દીઓ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આઈસીયુમાં દાખલ 2 દર્દીઓની સ્થિતિ અત્યંત ગંભીર છે, જેમાંથી 1 દર્દીનું હૃદય બંધ પડી ગયું હતું પરંતુ તબીબોના પ્રયાસોથી તેને રિવાઈવ કરવામાં આવ્યો હતો. તેમણે તમામ પીડિતો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરવાની સાથે તેમને ઉત્તમ સારવાર આપવાની અપીલ કરી હતી. હાઈકોર્ટના સીટીંગ જજ મારફતે તપાસ અને મોટા મગરમચ્છોને પકડવા માંગ સાંસદે જણાવ્યું હતું કે દારૂનું મિશ્રણ કરનારા માત્ર નાના પ્યાદાઓને પકડવાથી આ ગેરકાયદે ગોરખધંધો ક્યારેય અટકશે નહીં. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે ઝેરી કેમિકલ કઈ ફેક્ટરીમાંથી નીકળે છે અને અન્ય રાજ્યોમાંથી સરહદ પાર કરીને ગુજરાતમાં કેવી રીતે પહોંચ્યું, તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે. બોટાદ લઠ્ઠાકાંડ વખતે પણ આ પ્રકારની માંગણી કરવામાં આવી હતી પરંતુ યોગ્ય પગલાં ન લેવાતા આ ઘટનાનું પુનરાવર્તન થયું છે. તેથી સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે હાઇકોર્ટના સિટિંગ જજની સીધી દેખરેખ હેઠળ જ તપાસ થવી જોઈએ. પીડિત પરિવારોને આર્થિક સહાય અને સત્તાધીશો નૈતિક જવાબદારી સ્વીકારે શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટ કર્યું હતું કે સહાય દારૂ પીનારા વ્યક્તિ માટે નહીં, પરંતુ જે ગરીબ પરિવારે પોતાનો કમાનાર મુખ્ય મોભી ગુમાવ્યો છે તેવા નિરાધાર પરિવારો માટે તાત્કાલિક જાહેર કરવી જોઈએ. આ ઉપરાંત ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે લેવાતા કથિત હપ્તા બંધ કરાવી કડક કાયદાકીય અમલવારી કરાવવી અનિવાર્ય છે. તેમણે અંતમાં જણાવ્યું હતું કે સરકારમાં સત્તા પર બેઠેલા પદાધિકારીઓમાંથી કોઈ એક નેતાએ પણ આ ગંભીર બેદરકારીની નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ.
Read full article on Divya Bhaskar