top
'મારા પુત્ર ડો.હર્ષે આપઘાત નથી કર્યો, હત્યા થયાની શંકા':પિતાએ કહ્યું- કોઈ સુસાઈડ કરે તો જીભ બહાર આવી જાય, ચહેરો સોજી જાય; દીકરાના શરીર પર આવા કોઈ લક્ષણ નથી'
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોકટર તરીકે કાર્યરત ડો. હર્ષ પંડ્યાના આપઘાત અને રેગિંગ કેસમાં પિતાએ તાર્કિક સવાલો ઉઠાવી હત્યાની આશંકા વ્યકત કરી છે. મૃતકના હર્ષના પિતા શનિવારે સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન પહોંચ્યા. ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હું પોતે ડોકટર છું. જ્યારે કોઈ વ્યકિત આપઘાત કરે ત્યારે તેની જીભ બહાર આવી જાય, આંખોમાં લાલાશ આવી જાય, મોઢામાંથી લાળ ટપકતી હોય છે. મારા દીકરાના શરીર પર આ પ્રકારના કોઈ લક્ષણ જોવા મળ્યા નથી જે શંકા ઉપજાવે છે. દીકરા સાથે એક્સ્ટ્રીમ લેવલનું રેગિંગ અને માનસિક હેરેસમેન્ટ થયું છે. તટસ્થ અને ઊંડાણપૂર્વકની તપાસ જરુરી છે. ‘હું પોતે ડોક્ટર છું, શરીર પર સુસાઇડના ચિહ્નો ગાયબ છે’ હર્ષના પિતા સુભાષ પંડ્યાએ મેડિકલ તથ્યો ટાંકીને જણાવ્યું હતું કે, “હું પોતે પણ એક ડોક્ટર છું. સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ આપઘાત કરે ત્યારે તેની જીભ બહાર નીકળી જાય, મોંમાંથી લાળ પડે, ચહેરો સોજી જાય, આંખોમાં લાલાશ આવી જાય અને શરીર લબડી પડે છે. પરંતુ હર્ષના શરીર પર આપઘાતના આવા કોઈ જ લક્ષણો જોવા મળ્યા નથી. ઊલટાનું, જો કોઈ તેને મારી નાખવાનો પ્રયાસ કરતું હોય અને તેણે બચવા માટે સંઘર્ષ (ધમપછાડા) કર્યો હોય તેવા ઈજા અને લાલાશના નિશાનો તેના હાથ અને પગ પર જોવા મળ્યા છે, જેથી આ હત્યા હોવાની પૂર્ણ શંકા છે.” ટેલિફોનિક વાતચીતમાં પુત્રની ઢીલાશ વર્તાતી, પણ તે ક્યારેય ફરિયાદ નહોતો કરતો પુત્ર સાથેની અગાઉની વાતચીતને યાદ કરતાં પિતાએ ભારે હૈયે જણાવ્યું કે, હર્ષ દિવસ દરમિયાન હોસ્પિટલમાં એટલો વ્યસ્ત રહેતો કે ફોન પણ નહોતો ઉપાડી શકતો. મોડીરાત્રે જ્યારે વાત થતી ત્યારે પિતા તરીકે તેમને પૂછતા કે સિનિયર્સ તરફથી કોઈ પરેશાની છે?, વર્કલોડ વધારે છે કે અભ્યાસ અઘરો લાગે છે? જો તકલીફ હોય તો આપણે અભ્યાસ છોડી દઈએ. જોકે, હર્ષ સ્વભાવે શાંત હોવાથી સામેથી ક્યારેય ફરિયાદ નહોતો કરતો અને કહેતો કે, અમે 10 વિદ્યાર્થીઓ છીએ એટલે પરિસ્થિતિ સંભાળી લઈશું. પિતાને તેના અવાજમાં ઢીલાશ વર્તાતી હતી, પરંતુ તે કશું જ સ્પષ્ટ નહોતો કહેતો. અન્ય વિદ્યાર્થીઓએ કમિટી સમક્ષ રડીને વર્ણવી અસહ્ય યાતનાઓ પિતા સુભાષ પંડ્યાએ વધુમાં જણાવ્યું કે, જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા અને ડીન તેમજ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટની કમિટી સમક્ષ અન્ય વિદ્યાર્થીઓને ભેગા કરવામાં આવ્યા ત્યારે સત્ય બહાર આવ્યું હતું. સાથી વિદ્યાર્થીઓ રડી પડ્યા હતા અને તેમણે લેખિતમાં જણાવ્યું કે, ડિપાર્ટમેન્ટમાં તેમની સાથે કેટલો ગંભીર અત્યાચાર થતો હતો. સિનિયર રેસિડેન્ટ્સ મોડા આવે કે ગેરહાજર રહે તો પણ તેમનું બધું જ કામ હર્ષ એકલો કરી લેતો હતો. અન્ય સાથીઓ જ્યારે આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માંગતા ત્યારે હર્ષ ઝઘડો ન થાય તે માટે તેમને પણ શાંત પાડી દેતો હતો. ‘દુઃખ છે કે હું પુત્રનું દર્દ ન સમજી શક્યો, મને મળવા પણ નહોતો બોલાવતો’ અંતમાં પિતા સુભાષ પંડ્યાએ ભારે આક્રંદ સાથે અફસોસ વ્યક્ત કર્યો હતો કે, તેઓ પોતાના પુત્રનું આ દર્દ સમયસર સમજી ન શક્યા. તેમણે જણાવ્યું કે, “હું વારંવાર હર્ષને કહેતો હતો કે તને કોઈ સમસ્યા હોય તો હું તને મળવા આવું, પરંતુ હર્ષ મને હંમેશાં સુરત આવવાની ના પાડતો હતો. સાથી વિદ્યાર્થીઓએ જ્યારે કમિટી સામે આપવીતી કહી ત્યારે મને ખબર પડી કે મારા દીકરાએ કેટલી ગંભીર યાતનાઓ વેઠી છે.” પિતાએ ન્યાયની અપીલ કરતાં જણાવ્યું છે કે આ મામલે સત્ય સામે આવવું જ જોઈએ. આ સમાચાર પણ વાંચોઃ ‘અમે તમારા બોસ, તમે અમારા સ્લેવ’ સુરત નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં 30 વર્ષીય રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં એન્ટિ-રેગિંગ કમિટીના પ્રાથમિક અહેવાલ અને તપાસના આધારે 4 સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરોને 6 માસ માટે સસ્પેન્ડ કરાયા છે, જ્યારે 4 ફેકલ્ટીને કારણદર્શક નોટિસ ફટકારાઈ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સૌથી વધુ રેગિંગ ડૉ.દીક્ષિતા ઘેવરિયા કરતી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો)
Read full article on Divya Bhaskar