top
'મારો ભાઈ નથી, કોને રાખડી બાંધું?':2012ના ફાયરિંગમાં પોલીસની ગોળીએ પંકજ વીંધાયો, દીકરીના સવાલે બાપ, 14 વર્ષે દીકરાને ગુમાવ્યો ત્યાં ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત
સુરેન્દ્રનગરના થાનગઢમાં 2012માં તરણેતરના મેળામાં ઘર્ષણ બાદ 16 વર્ષીય પંકજ સુમરાને પોલીસે ગોળી ઘરબી મોતને ઘાટ ઉતાર્યો હતો. 14 વર્ષે તેના પિતા અમરશી સુમરાએ થાનગઢ-લાખમાંચી વચ્ચે હાપાથી મુંબઈ જતી દુરંતો એક્સપ્રેસ ટ્રેન નીચે પડતું મૂકીને 28મી ઓગસ્ટે આત્મહત્યા કરી લીધી છે. રક્ષાબંધનના તહેવાર ટાણે દીકરીઓ મૃતક ભાઈને યાદ કરીને દુઃખી થતી હતી. પિતાએ રક્ષાબંધને ઘરે આવવા કહેતા દીકરીએ કહ્યું કે 'મારો ભાઈ નથી, કોને રાખડી બાંધુ?', આ જ સવાલે 14 વર્ષથી ન્યાય માટે ઝઝૂમતાં પિતાના કાળજા કોરી ખાધા અને આપઘાત કરી લીધો. પીડિત પરિવારો આ મુદ્દે રચાયેલી SITનો રિપોર્ટ જાહેર કરવા માગ કરી રહ્યા છે. દીકરીને ફોન કરીને ઘરે બોલાવી રક્ષાબંધને મૃતક અમરશીએ દીકરી જ્યોતિને ફોન કરી કહ્યું કે, બેન, તું ક્યારે આવીશ?' તો મેં કહ્યું, 'પપ્પા, હું આવીને શું કરું? મારો ભાઈ નથી, કોને હું રાખડી બાંધું?' એટલું મેં કહ્યું ખાલી. એ 'બેટા, તું આવજે,' એમ કહેતા હતા. રડતા હતા, મેં આવું કહ્યું હતું. રક્ષાબંધનનો તહેવાર આવે ને મારો ભાઈ બહુ યાદ આવે. અમને જલ્દીથી જલ્દી ન્યાય મળે, એટલી સરકારને વિનંતી કે અમને ન્યાય મળી જાય. હવે મારા પપ્પાય નથી રહ્યા, મારી મમ્મી કેમ એકલી, આ બધોય ન્યાય દેવડાવવા દોડશે? તો જલ્દીથી જલ્દી ન્યાય મળી જાય." બે સમાજના ઘર્ષણમાં પોલીસ ફાયરિંગ સપ્ટેમ્બર 2012માં તરણેતરના મેળા દરમિયાન દલિતો અને ભરવાડ સમાજ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પોલીસે કરેલા ફાયરિંગ કર્યું હતું. જેમાં મેહુલ રાઠોડ, પંકજ સુમરા અને પ્રકાશ પરમાર નામના ત્રણ દલિતના મોત થયા હતા. આ ચકચારી કેસ છેલ્લા 14 વર્ષથી કોર્ટમાં પેન્ડિંગ છે. રાજ્ય સરકારે આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી હતી, પરંતુ તેનો રિપોર્ટ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. ન્યાય ન મળવાની વેદનાથી અમરશીએ મૃતક દીકરાના સ્મારક પાસે ગયા હતા. ત્યારબાદ ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ તુરંત સ્થળ પર પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે. આંદોલન કરી પીડિતોએ તપાસ કરાવી ઘટનાના બીજા દિવસે ફરિયાદી નટુ પરમાર, વાલજી રાઠોડ અને ઇજાગ્રસ્ત છના વાણીયા સહિતના લોકોએ ગાંધીનગર ખાતે ઉપવાસ આંદોલન કરીને પોલીસ તપાસ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ રોષને પગલે સરકારે SITની રચના કરી હતી. એસઆઈટીની તપાસનો રિપોર્ટ રહસ્ય બન્યું SIT વડા અનુપમકુમાર ગેહલોત, તરુણ દુગ્ગલ અને પરીક્ષિતા રાઠોડની ટીમ થાનગઢ દોડી આવી હતી. ટીમ દ્વારા ઘટનાસ્થળ એવા મેળાના મેદાન અને રેલવે ફાટક સહિતના વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. ફાયરિંગ કયા સ્થળેથી થયું અને અંતર કેટલું હતું તેની મેજર ટેપથી માપણી કરીને વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. આ સઘન તપાસના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
Read full article on Divya Bhaskar