Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: મહીસાગર જિલ્લાના લુણાવાડા-સંતરામપુર હાઇવે પર આજે એક અત્યંત ગમખ્વાર અને દર્દનાક અકસ્માત સર્જાયો છે. લુણાવાડા-સંતરામપુર હાઇવે પર આવેલા હરિગરના મુવાડા ગામ નજીક દૂધના ટેન્કર અને એક કાર વચ્ચે સર્જાયેલી ભયાનક અથડામણમાં કારમાં સવાર એક જ પરિવારના ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. આ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે.
ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો
મળતી માહિતી મુજબ, લુણાવાડા તરફથી દૂધનું ટેન્કર સરસણ શીત કેન્દ્ર તરફ જઈ રહ્યું હતું. તે દરમિયાન સંતરામપુર તરફથી લુણાવાડા તરફ આવી રહેલી કાર સાથે હરિગરના મુવાડા ગામ નજીક ટેન્કરની સામસામે ધડાકાભેર અથડામણ થઈ હતી. અકસ્માતની ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમણે સ્થળ પર જ દમ તોડ્યો હતો. આ કરુણ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણેય લોકો દાહોદ જિલ્લાના ફતેપુરાના તળાવ ફળિયુંના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં એક જ પરિવારના પુત્ર, તેમની માતા અને દાદીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો...Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે, ટેન્કરચાલક ફરાર
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે જાણ થતાં સંતરામપુર પોલીસ સ્ટેશનના PI સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટના બાદ ટેન્કરચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હોવાની માહિતી મળી છે.
દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગર તથા જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સફિન હસન તાબડતોબ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બંને ઉચ્ચ અધિકારીઓએ પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી અકસ્માત કેવી રીતે સર્જાયો તેની વિગતો મેળવી હતી અને પોલીસ અધિકારીઓને જરૂરી કાનૂની નિર્દેશ આપ્યા હતા.
માંગરોળ નજીક હાઇવે પર બંધ ટ્રક પાછળ ટ્રાવેલ્સ અથડાતાં ગંભીર અકસ્માત
જૂનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આવેલા હુસેનાબાદ પાસે હાઇવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. રોડ સાઇડમાં બંધ હાલતમાં ઊભેલા ટ્રક પાછળ પુરપાટ ઝડપે આવતી એક ટ્રાવેલ્સ ગાડી ધડાકાભેર અથડાતાં આ દુર્ઘટના બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માતગ્રસ્ત ટ્રાવેલ્સ ઉત્તર પ્રદેશના જોનપુર તરફની હોવાનું જાણવા મળ્યું છે.
સોમનાથથી દ્વારકા દર્શન કરવા જતા બન્યો બનાવટ્રાવેલ્સમાં સવાર યાત્રાળુઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરીને દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યા હતા, તે દરમિયાન માંગરોળના હુસેનાબાદ પાસે તેમને અકસ્માત નડ્યો હતો. આ ભયાનક અકસ્માતમાં ટ્રાવેલ્સમાં સવાર અનેક મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.