top
મહાદેવના દર્શને નીકળેલાં 76 વર્ષીય વૃદ્ધાને બેફામ કારે અડફેટે લીધા:ઘટનાસ્થળે જ કરૂણ મોત, ઇન્ફોસિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારે મહાદેવના દર્શન કરવા જઈ રહેલાં એક વૃદ્ધાને પૂરઝડપે આવી રહેલી કારે ટક્કર મારતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ગાંધીનગર તાલુકાના અંબાપુર ગામના 76 વર્ષીય વૃદ્ધા શાહપુર બ્રિજ નજીકથી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે બેફામ કારચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ જતાં ઇન્ફોસિટી પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વહેલી સવારે ધોળેશ્વર મહાદેવના દર્શને નીકળ્યાં હતાં પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીનગર તાલુકાના અંબાપુર ગામે પંચાયત ઓફિસ પાસે રહેતા અને છૂટક મજૂરીકામ કરતા કિશનભાઈ વાઘરીના 76 વર્ષીય દાદી મેનાબેન વાઘરી શ્રાવણ માસના પ્રથમ સોમવારે નિત્યક્રમ મુજબ દેવ દર્શને નીકળ્યાં હતાં. આજે વહેલી સવારે આશરે 6.15 વાગ્યાના સુમારે મેનાબેન તથા તેમનાં ફુઈ શારદાબેન બંને જણા પગપાળા ધોળેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા ઘરેથી નીકળ્યાં હતાં. શાહપુર બ્રિજ નજીક બેફામ કારે ટક્કર મારી સવારના આશરે 6.45 વાગ્યાના અરસામાં બંને વૃદ્ધાઓ કુડાસણ પાટિયાથી ઈન્દ્રોડા સર્કલ તરફ જતા હાઈ-વે રોડ પર શાહપુર બ્રિજ નજીકથી રોડ ક્રોસ કરી રહ્યાં હતાં. આ દરમિયાન કુડાસણ પાટિયા તરફથી બેફામ ઝડપે આવી રહેલી એક ફોર વ્હીલર કાર (GJ-18-BW-7580) ના ચાલકે મેનાબેનને જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી ભયજનક હતી કે વૃદ્ધા હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાયાં હતાં અને તેમને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સે મૃત જાહેર કર્યાં, પોલીસે ગુનો નોંધ્યો અકસ્માત બાદ ગામના રિક્ષાચાલક પુનાભાઈ રાવળે તુરંત પરિવારને જાણ કરતાં પૌત્ર કિશનભાઈ સહિતના સગા-સંબંધીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, પરંતુ ગંભીર ઈજાઓને પગલે મેનાબેનનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હોવાથી તબીબી ટીમે તેમને મૃત જાહેર કર્યાં હતાં. ઇન્ફોસિટી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો અને પૌત્ર કિશનભાઈની ફરિયાદના આધારે કાર (GJ-18-BW-7580) ના ચાલક સામે અકસ્માતે મોત નિપજાવવા બદલ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar