top
સુરતમાં અશ્વિનીકુમાર-ઉત્રાણ તાપી બ્રિજ મુદ્દે ભાજપમાં ડખો!:કાનાણી અને કોર્પોરેટર આમને-સામને, MLAએ મેયરને પત્ર લખી કહ્યું-‘વિરોધ પાછળ કોઈ સ્વાર્થની ગંધ’
સુરત મહાનગરપાલિકાના બજેટમાં છેલ્લા ત્રણ વર્ષથી સમાવિષ્ટ અશ્વિનીકુમાર અને ઉત્રાણને જોડતા તાપી બ્રિજના પ્રોજેક્ટને લઈને સુરત ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયું છે. તાજેતરમાં પાલિકાની સામાન્ય સભામાં વોર્ડ નં. 8 (ડભોલી-સિંગણપોર)ના ભાજપના કોર્પોરેટર ભૂપેન્દ્ર રાઠોડે આ બ્રિજને 'ખૂબ જ ખર્ચાળ' અને 'બિનજરૂરી' ગણાવીને વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ સામે વરાછાના ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણી મેદાનમાં આવ્યા છે અને તેમણે સુરતના મેયર માયા માવાણીને આકરા શબ્દોમાં પત્ર લખી બ્રિજનું નિર્માણ તાત્કાલિક શરૂ કરવા માગણી કરી છે. 'લોકોને શું જરૂરિયાત છે તે નક્કી કરવાનો અધિકાર અમારો, કોર્પોરેટરનો નહીં' ધારાસભ્ય કાનાણીએ મેયરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, વરાછા અને ઉત્રાણના લાખો લોકોને શું જરૂરિયાત છે તે નક્કી કરવાનો અધિકાર જનપ્રતિનિધિ તરીકે અમારો છે, કોઈ કોર્પોરેટરે તે નક્કી કરવાની જરૂર નથી. આ બ્રિજના નિર્માણથી વરાછા, ઉત્રાણ, મોટા વરાછા અને વેલંજા વિસ્તારના લાખો લોકોને સીધો ફાયદો થશે. તેનાથી વરાછા મેઈન રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટશે તેમજ વાહનચાલકોના સમય અને પેટ્રોલની મોટી બચત થશે. મશીનરીની કિંમત કરતાં વધારે ખર્ચ મેન્ટેનન્સ પાછળ થાય તો વિરોધ કેમ કરતા નથી? કોર્પોરેટરના ઈરાદાઓ પર સીધા સવાલ ઉઠાવતા કિશોર કાનાણીએ પત્રમાં દલીલ કરી છે કે, જો કોર્પોરેટરને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ખર્ચની આટલી જ ચિંતા હોય, તો પાલિકામાં મશીનરીની કિંમત કરતાં વધારે ખર્ચ તેના મેન્ટેનન્સ પાછળ થાય છે તેનો વિરોધ તેઓ કેમ કરતા નથી? આ મેન્ટેનન્સના ખર્ચ સામે જો નવી મશીનરી ખરીદવામાં આવે તો પણ પાલિકા ફાયદામાં રહે તેમ છે, છતાં તેની ચિંતા કેમ કરવામાં આવતી નથી. 'સવાલ ઉઠાવવા પાછળ કોઈ અંગત સ્વાર્થ કે લાભની ગંધ ' આ ઉપરાંત તેમણે ઉલ્લેખ કર્યો છે કે, સુરતની શાન ગણાતો કેબલ બ્રિજ લોકોની સુવિધા અને સુખાકારી માટે બનાવાયો છે, ત્યાં ખર્ચની વાત કરવાની ન હોય. પાલિકા હાલ રિવરફ્રન્ટ જેવા કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સનું આયોજન કરી રહી છે, તો શું કોઈ કોર્પોરેટર વિરોધ કરશે તો તે પ્રોજેક્ટ્સ પણ પડતા મૂકવામાં આવશે? ધારાસભ્યએ ગંભીર આક્ષેપ કર્યો છે કે પાલિકા અનેક બાબતોમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ ફક્ત આ જ બ્રિજના ખર્ચ સામે સવાલ ઉઠાવવા પાછળ કોઈ અંગત સ્વાર્થ કે લાભની ગંધ આવી રહી છે. આમ, વિકાસ કાર્યોને લઈને ભાજપના જ બે ચૂંટાયેલા નેતાઓ આમને-સામને આવી જતાં શહેરના રાજકીય વર્તુળોમાં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
Read full article on Divya Bhaskar