top
મણિનગરમાં જ્વેલર્સની ગંભીર છેતરપિંડી:₹80 હજાર સામે ₹3.71 લાખ વ્યાજ ચૂકવ્યા છતાં વૃદ્ધના ગીરો મૂકેલા સોનાના દાગીના બારોબાર વેચી માર્યા
શહેરના મણિનગર વિસ્તારમાં ગીરો મુકેલા સોનાના દાગીના પરત ન આપીને બારોબાર વેચી મારવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નાણાકીય જરૂરિયાત પેટે ₹80 હજારની લોન સામે વૃદ્ધે ₹3.71 લાખ જેટલું તોતિંગ વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં, જ્વેલર્સે તેમના સોનાના દાગીના વર્ષો પહેલાં જ વેચી નાખ્યા હોવાનું સામે આવતાં મણિનગર પોલીસ સ્ટેશનમાં ફોજદારી ફરિયાદ નોંધાઈ છે. 2014માં ₹80 હજારની જરૂરિયાત માટે દાગીના ગીરો મૂક્યા હતા પોલીસ ફરિયાદ અનુસાર, ઘોડાસર વિસ્તારમાં રહેતા 60 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ ગફુરભાઈ રબારીને વર્ષ 2014માં પૈસાની જરૂરિયાત ઊભી થઈ હતી. આથી, તેમણે મણિનગર રેલવે ક્રોસિંગ નજીક આવેલી ‘ચિરાગ જ્વેલર્સ’ ના સંચાલક ચિરાગ શાહ પાસે પોતાના સોનાના દાગીના ગીરો મૂક્યા હતા. સોનાની બે બંગડીઓ અને બે પાટલા (કુલ 97.2 ગ્રામ ગ્રોસ અને 55.228 ગ્રામ નેટ વજન). અલગ-અલગ તારીખે કુલ ₹80,000ની રકમ મેળવી હતી. ₹3.71 લાખ વ્યાજ ચૂકવ્યું છતાં બહાનાબાજી કરી ગફુરભાઈએ વર્ષ 2014થી 2021 સુધીના સમયગાળા દરમિયાન અલગ-અલગ સમયે નિયમિતપણે કુલ ₹3,71,000 જેટલું તોતિંગ રોકડ વ્યાજ જ્વેલર્સને ચૂકવી આપ્યું હતું. છેલ્લા બે વર્ષથી તેઓ પોતાની બાકી નીકળતી મૂળ રકમ ચૂકવીને દાગીના પરત લેવા તૈયાર હતા. જોકે, જ્વેલર્સ ચિરાગ શાહ દ્વારા દાગીના બેંક લોકરમાં છે, લોકરની ચાવી ખોવાઈ ગઈ છે એવા ખોટા બહાના બતાવીને લાંબા સમય સુધી દાગીના પરત કરવામાં આવ્યા નહોતા. “દાગીના તો 2017 પહેલાં જ વેચી દીધા છે” અવારનવાર ધક્કા ખાધા બાદ આખરે ગફુરભાઈએ પોતાના સોનાના દાગીના પરત મેળવવા કડક ઉઘરાણી કરતાં જ્વેલર્સ ચિરાગ શાહે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, તેમણે આ દાગીના વર્ષ 2017 પહેલાં જ બારોબાર વેચી નાખ્યા છે. ₹80 હજાર સામે લાખો રૂપિયા વ્યાજ પેટે વસૂલી લીધા બાદ પણ સોનું વેચી મારી વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હોવાનો અહેસાસ થતાં, ભોગ બનનાર વૃદ્ધે મણિનગર પોલીસ સ્ટેશનમાં ચિરાગ જ્વેલર્સના માલિક ચિરાગ શાહ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar