politics
મનપાના સફાઈ કર્મચારીઓનો પડતર પ્રશ્નોને લઈ ઉગ્ર આક્રોશ:15 ઓગસ્ટે કાળી પટ્ટી પહેરી કાર્યક્રમમાં વિરોધ કરશે, દુર્વ્યવહાર કરનારા તમામ દોષિતોને સસ્પેન્ડ કરવા માગ
સુરત મહાનગરપાલિકામાં સફાઈ કામદાર, વોચ એન્ડ વોર્ડ તેમજ બેલદાર કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોના કાયદેસર નિરાકરણ માટે અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠન યુનિયનના પ્રમુખ કિરીટભાઈ વાઘેલા તથા અખિલ ભારતીય મજદૂર સંગઠનના પ્રદેશ પ્રમુખ રિતેશ સોલંકીની આગેવાની હેઠળ 48 કલાકના પ્રતીક ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ ધરણાની શરૂઆતમાં રાષ્ટ્રગાન ગાઈ રહેલા કર્મચારીઓ અને આગેવાનોને પાલિકાના વોચ એન્ડ વોર્ડ વિભાગના અધિકારીઓ દ્વારા રોકવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ યુનિયન દ્વારા કરવામાં આવ્યો છે. દેશના ગૌરવ સમાન રાષ્ટ્રગાન દરમિયાન કર્મચારીઓ સાથે અભદ્ર અને અમાનવીય વ્યવહાર કરીને તેમને ધક્કા મારી બહાર કાઢી મૂકવામાં આવતા કામદારોમાં ભારે આક્રોશ ફેલાયો છે. કાલે કાર્યક્રમમાં કાળી પટ્ટી ધારણ કરવાનો નિર્ણય આ અપમાનજનક ઘટનાના વિરોધમાં અને પોતાના બંધારણીય અધિકારોના રક્ષણ કાજે યુનિયન તથા સમાજના આગેવાનોએ 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે યોજાનારા કાર્યક્રમમાં કાળી પટ્ટી ધારણ કરીને સામેલ થવાનો નિર્ણય કર્યો છે. કર્મચારીઓ ગળામાં હાંડી, કમરમાં ઝાડુ અને જંજીરો પહેરીને ગુલામી અને શોષણના પ્રતીક સ્વરૂપે કાર્યક્રમમાં હાજરી આપી અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કરશે. શહેરને સ્વચ્છ રાખતા સફાઈ કામદારોના સન્માન અને અસ્તિત્વ સામે થયેલા આ ઘાતક પ્રહાર સામે આગેવાનોએ તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ઝડપી પગલા લેવામાં ન આવે તો આંદોલનની ચીમકી યુનિયન દ્વારા વહીવટી તંત્ર સમક્ષ સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે કે રાષ્ટ્રગાનનું અપમાન કરનારા તેમજ કામદારો સાથે દુર્વ્યવહાર કરનારા તમામ દોષિત અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત, સફાઈ કર્મચારીઓના વર્ષો જૂના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે આગામી 7 દિવસમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવે. જો તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય અને ઝડપી પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં લોકશાહી ઢબે વધુ ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ આપવામાં આવી છે.
Read full article on Divya Bhaskar