politics
મોરબીમાં મધ્યાહ્ન ભોજન કર્મચારીઓનું પ્રદર્શન:₹30 હજાર વેતન સહિત 6 માંગણીઓ સાથે આવેદન પાઠપ્યું
મોરબીમાં ભારતીય મજદૂર સંઘ સંલગ્ન PM પોષણ શક્તિ નિર્માણ મધ્યાહ્ન ભોજન યોજના કર્મચારી સંઘે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રદર્શન કર્યું હતું. અખિલ ભારતીય મજદૂર સંઘના દેશવ્યાપી કાર્યક્રમ અંતર્ગત કર્મચારીઓએ તેમની પડતર માંગણીઓના નિરાકરણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું. કર્મચારી સંઘના જણાવ્યા અનુસાર, રાજ્યમાં પોષણ યોજનાઓનું સફળ અમલીકરણ કરતા સંચાલકો અને રસોઈયાઓ સહિતના કર્મચારીઓના અનેક પ્રશ્નો લાંબા સમયથી વણઉકેલ્યા છે. ખાસ કરીને જિલ્લાભરની વિધવા અને ત્યક્તા મહિલા કર્મચારીઓના પ્રશ્નોનો પણ ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે. કર્મચારી મંડળે રાજ્યના આશરે 96 હજાર કામદારો અને 40 લાખ બાળકોના હિતને ધ્યાનમાં રાખીને વિવિધ માંગણીઓ રજૂ કરી હતી. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં વર્ષ 1985ના જોબ ચાર્ટ મુજબ એક સમયના ભોજન માટે નિમાયેલા આશરે 28 હજાર કેન્દ્ર સંચાલકોને ‘શાળા પોષણ સહાયક’નો દરજ્જો આપવાનો સમાવેશ થાય છે. હાલ આ સંચાલકો ચાર જેટલી યોજનાઓની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમને શ્રમ-રોજગાર વિભાગના લઘુત્તમ વેતન સહિતના તમામ લાભો આપવાની પણ માંગ કરાઈ છે. આ ઉપરાંત, મોંઘવારી અને જીવનનિર્વાહના માપદંડોને ધ્યાનમાં રાખીને કર્મચારીઓને માસિક રૂ.30 હજાર વેતન ચૂકવવાની માંગ પણ કરવામાં આવી છે. અગ્નિ સાથેની જોખમી કામગીરીને ધ્યાનમાં રાખીને કર્મચારીઓ માટે જૂથ વીમા યોજના લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. જો કોઈ દુર્ઘટના બને તો પીડિત પરિવારને મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ રૂ.4 લાખની આર્થિક સહાય આપવાની જોગવાઈ કરવાની પણ રજૂઆત કરાઈ છે. વધુમાં, માનદ સેવકો તરીકે કાર્યરત કર્મચારીઓને 62 વર્ષની નિવૃત્તિ વય બાદ તબીબી પ્રમાણપત્રના આધારે સેવા ચાલુ રાખવાની મંજૂરી આપવા પણ માંગણી કરાઈ છે. આ ઉપરાંત, રસોઈયા સહિતના કર્મચારીઓને સામાજિક સુરક્ષાનું કવચ આપવા અને દરેક શાળાના કિચન તથા રસોઈ શેડ માટે હાઈજેનિક સ્વચ્છતા કીટ ઉપલબ્ધ કરાવવાની પણ માંગ કરવામાં આવી હતી. મોરબી જિલ્લા પ્રમુખ બળવંતભાઈ સનાળીયા અને જિલ્લા મહામંત્રી ચંદ્રકાંતભાઈ વ્યાસની આગેવાનીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સરકાર સમક્ષ તેમની પડતર માંગણીઓનો સત્વરે હકારાત્મક ઉકેલ લાવવા ભારપૂર્વક રજૂઆત કરી હતી.
Read full article on Divya Bhaskar