top
સિંહણે વનવિભાગના ટ્રેકર પર હુમલો કર્યો:ઘાયલને સારવાર માટે ખસેડાયો, અમરેલીના ચાંદગઢ નજીક શેત્રુંજી નદી કાંઠે ઘટના
અમરેલી તાલુકાના ચાંદગઢ ગામ નજીક શેત્રુંજી નદીના કાંઠે વનવિભાગના એક ટ્રેકર પર સિંહણે હુમલો કર્યો છે. વન્યપ્રાણી સંરક્ષણની રૂટિન કામગીરી દરમિયાન આ ઘટના બની હતી, જેમાં ટ્રેકરને ઈજા થતાં તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના ચાંદગઢ નજીક બની હતી, જ્યાં વનવિભાગની ટીમમાં બીટગાર્ડ અને ત્રણ ટ્રેકર્સ વન્યપ્રાણી સંરક્ષણની કામગીરીમાં હાજર હતા. ટ્રેકર ગોહાભાઈ પર સિંહણે હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ શેત્રુંજી ઇન્ચાર્જ ACF ડો. રાજન જાદવ સહિત વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વનવિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે કે હુમલો સિંહણ દ્વારા કરવામાં આવ્યો હતો. શેત્રુંજી ડિવિઝનના ઇન્ચાર્જ ACF રાજન જાદવ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. સામાન્ય રીતે સિંહણ કે અન્ય વન્યપ્રાણીઓ કોઈ કારણ વગર હુમલો કરતા નથી, ત્યારે આ ઘટના પાછળનું કારણ શું છે તે અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ અંગે શેત્રુંજી ડિવિઝનના DCF ચિરાગ અમીને જણાવ્યું હતું કે, "આ ઘટનામાં અચાનક સિંહણે હુમલો કર્યો છે. આ ઘટના કેવી રીતે બની તે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ." અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓની અવરજવર અને હુમલાની ઘટનાઓ વચ્ચે આ વધુ એક બનાવ વનવિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે.
Read full article on Divya Bhaskar