politics
મોરબીમાં સંત રવિદાસજીના કળશનું આગમન:સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત દરેક ગામ સુધી પહોંચશે પવિત્ર માટી
મોરબી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજના 650મા જન્મજયંતી વર્ષ નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. સંત રવિદાસજીના જન્મસ્થળની પવિત્ર માટી ભરેલો કળશ મોરબી પહોંચતા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પવિત્ર કળશ મોરબી જિલ્લાના તમામ તાલુકાઓના દરેક ગામ સુધી પહોંચાડવામાં આવશે. ગામોમાં કળશનું આદર અને સન્માન સાથે પૂજન-અર્ચન કરાશે. ત્યારબાદ પવિત્ર માટીને સ્થાનિક મંદિર અથવા પીપળા તથા વડના વૃક્ષના ચરણોમાં સમર્પિત કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયાએ સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજના જીવનચરિત્ર, વિચારો અને સામાજિક સમરસતાના સંદેશ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સૌને સંત રવિદાસજીના દર્શાવેલા માર્ગ પર ચાલવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, ગુજરાત સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, જામનગરના પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, જિલ્લા ભાજપ મહામંત્રી અરવિંદભાઈ વાંસદડીયા, તપનભાઈ દવે, ચતુરભાઈ મકવાણા તથા ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ સુખદેવભાઈ દેલવાણીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત, મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, દંડક, શાસક પક્ષના નેતા તથા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેઘી સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, જિલ્લા ભાજપના હોદ્દેદારો, તાલુકા અને શહેર મંડળના પ્રમુખ-મહામંત્રીઓ તેમજ મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો પણ હાજર રહ્યા હતા.
Read full article on Divya Bhaskar