top
રાજપીપળા હરસિદ્ધિ મંદિર કમિટી નિમણૂક સામે વિરોધ:યુવરાજ માનવેન્દ્ર સિંહ સહિત સ્થાનિક આગેવાનોએ કલેક્ટરને રજૂઆત કરી
રાજપીપળા, નર્મદા: રાજપીપળાના 400 વર્ષ જૂના હરસિદ્ધિ માતાજીના મંદિરની નવી દેવસ્થાન સમિતિની નિમણૂક સામે વિવાદ સર્જાયો છે. યુવરાજ માનવેન્દ્ર સિંહ સહિત સ્થાનિક આગેવાનોએ આ નિમણૂકનો સખત વિરોધ નોંધાવ્યો છે અને કમિટી બદલવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. રાજ્ય સરકારે રાજપીપળાના હરસિદ્ધિ માતાજીના મંદિર સહિત 10 જેટલા મંદિરોના નવીનીકરણ અને દેખરેખ માટે હિન્દુ દેવસ્થાન કમિટીની રચના કરી હતી. આ માટે સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવી છે. આ ભંડોળના વહીવટ માટે હાલ નવી કમિટીની નિમણૂક કરવામાં આવી છે. યુવરાજ માનવેન્દ્ર સિંહ અને અન્ય સ્થાનિક આગેવાનોનો મુખ્ય વાંધો એ છે કે નવી કમિટીમાં રાજકીય પક્ષોના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે રાજવી પરિવાર અને સ્થાનિક આગેવાનો સાથે પરામર્શ કર્યા વિના આ કમિટીની રચના કરવામાં આવી છે. યુવરાજ માનવેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, તેમના રાજવી પરિવાર દ્વારા માતાજીને રાજપીપળા લાવવામાં આવ્યા હતા અને મંદિરનું નિર્માણ કરાવી પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તેમણે દાવો કર્યો કે રાજવી પરિવાર તરફથી સમિતિ માટે અન્ય નામો પણ સૂચવવામાં આવ્યા હતા, પરંતુ માત્ર તેમનું નામ જ રાખવામાં આવ્યું છે. માનવેન્દ્ર સિંહે ભારપૂર્વક જણાવ્યું કે ધાર્મિક બાબતોમાં રાજકીય લોકોનો સમાવેશ ન થવો જોઈએ. તેમણે એ પણ આક્ષેપ કર્યો કે છેલ્લા 25 વર્ષથી મંદિરના આર્થિક વ્યવહારોનું ઓડિટ કરવામાં આવ્યું નથી. રાજવી પરિવારના અન્ય વંશજોને સમિતિમાં સ્થાન ન મળતા અન્યાય થયાની લાગણી પણ તેમણે વ્યક્ત કરી હતી. હવે આ સમગ્ર મામલે જિલ્લા તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે, તેના પર સૌની નજર રહેશે.
Read full article on Divya Bhaskar