top
સુરત નાસિરનગર ડિમોલિશન કેસ:હાઇકોર્ટમાં મુખ્ય અરજી પાર્ટહર્ડ રહેશે, વર્તમાન જજ સમક્ષ જ થશે આગળની સુનાવણી
સુરતના નાસિરનગર ડિમોલિશન કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન અસરગ્રસ્તો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, તંત્ર દ્વારા તેમને શરૂઆતમાં જહાંગીરપુરા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સારા સુવિધાસભર મકાનો બતાવવામાં આવ્યા હતા અને તેઓ ત્યાં રહેવા સંમત પણ થયા હતા પરંતુ, ત્યારબાદ અચાનક વહીવટી તંત્રે નિર્ણય બદલીને અડાજણ અને ભેસ્તાણ વિસ્તારમાં અત્યંત જર્જરિત મકાનો ફાળવવાની ફરજ પાડી છે. વિસ્તૃત દલીલો સાંભળ્યા બાદ આ કેસની આગળની કાર્યવાહી વર્તમાન જજ સમક્ષ જ ચલાવવા માટે અરજીને પાર્ટહર્ડ તરીકે રાખવા કોર્ટે મંજૂરી આપી છે. અડાજણ અને ભેસ્તાણના જર્જરિત મકાનોના ફોટોગ્રાફ્સ કોર્ટમાં રજૂ કરાયા અરજદારના વકીલે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, જહાંગીરપુરામાં 1 BHKના યોગ્ય મકાનો બતાવ્યા બાદ અસરગ્રસ્તોને અડાજણ અને ભેસ્તાણમાં જે આવાસ ઓફર કરવામાં આવ્યા છે, તેની સ્થિતિ અત્યંત દયનીય અને રહેવા લાયક નથી. આ મકાનોના ફોટોગ્રાફ્સ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરીને દર્શાવવામાં આવ્યું હતું કે, ત્યાં માત્ર 1 નાનું રસોડું અને 1 રૂમ જેવી અત્યંત સાંકડી જગ્યા ઉપલબ્ધ છે. વધુમાં, સુરત મહાનગરપાલિકા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, મકાનોની ફાળવણી માટે યોજાયેલા લકી ડ્રોમાં અસરગ્રસ્તો હાજર રહ્યા નહોતા, જેની સામે અરજદાર પક્ષે તમામ અસરગ્રસ્તો ડ્રોમાં હાજર હતા, તે સાબિત કરતા વીડિયો ફૂટેજ પણ કોર્ટમાં રજૂ કર્યા હતા. સરકારી વકીલે જવાબ રજૂ કરવા માટે સમયની માંગણી કરી સામે પક્ષે સરકારી વકીલે એવી દલીલ કરી હતી કે, મૂળ અસરગ્રસ્તોની સાથે સાથે કેટલાક વધારાના બિનઅધિકૃત લોકો પણ નવા મકાનો મેળવવાની પ્રક્રિયામાં જોડાઈ ગયા હતા. અરજદારો દ્વારા ફાઇલ કરવામાં આવેલી સોગંદનામાની વિગતોનો યોગ્ય અને વિગતવાર પ્રત્યુત્તર આપવા માટે સરકારી વકીલ દ્વારા કોર્ટ પાસે સમય માંગવામાં આવ્યો હતો. આ તબક્કે અરજદારના વકીલે વિનંતી કરી હતી કે, આ કેસમાં વિસ્તૃત સુનાવણી થઈ ચૂકી હોવાથી તેનો આખરી નિકાલ વર્તમાન બેન્ચ દ્વારા જ કરવામાં આવે તે હિતાવહ છે, જેના પર કોર્ટે સહમતિ દર્શાવી વધુ સુનાવણી મુલતવી રાખી હતી. ગેરકાયદે ડિમોલિશનનો ખર્ચ ઓથોરિટીએ ભોગવવો પડશે અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉની સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવતા સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે જો ઓથોરિટી દ્વારા નાસિરનગરમાં ગેરકાયદેસર રીતે ડિમોલિશન કરવામાં આવ્યું હોય તો અસરગ્રસ્ત પરિવારોના પુનઃવસનની સંપૂર્ણ આર્થિક જવાબદારી તંત્રની જ રહેશે અને ગરીબ અસરગ્રસ્તો પાસેથી કોઈ નાણાં વસૂલી શકાય નહીં. આ ગેરકાયદે ડિમોલિશનમાં સુરત મહાનગરપાલિકા (SMC) ના જવાબદાર અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓની ભૂમિકાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે, જે સમિતિ આગામી 18 સપ્ટેમ્બર સુધીમાં પોતાનો વિગતવાર તપાસ અહેવાલ રજૂ કરશે.
Read full article on Divya Bhaskar