politics
સુરતમાં બાળકીનાં મોત બાદ કથિત ઓડિયો ક્લિપે મચાવ્યો ખળભળાટ!
'એણે મને કીધું કે ખાલી એક દિવસ તમે બંધ રાખજો, અમારે કામગીરી દેખાડવી પડશે.' આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઊભા કરતી કથિત ઓડિયો ક્લિપે ખળભળાટ મચાવ્યો છે. હોટલમાંથી મગાવેલું ભોજન ખાધા બાદ બાળકીનાં મોત મુદ્દે સમગ્ર ગુજરાતમાં એકતરફ ચકચાર મચી છે, ત્યારે સુરતના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ કથિત ઓડિયો ક્લીપને લઈને કટાક્ષ કર્યો છે. ઓડિયો ક્લિપમાં એક રેસ્ટોરન્ટના માલિક દ્વારા ઘટનાને લઈને ઉપરથી એક દિવસ માટે હોટલ બંધ રાખવા માટે કહેવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે સમગ્ર મામલે કુમાર કાનાણીએ હાલના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને પત્ર લખી આરોગ્ય વિભાગની કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા છે. આ અભિનંદન સાથે જ કાનાણીએ સરકારની કામગીરીની પદ્ધતિ સામે કટાક્ષ કરતાં અનેક સવાલો પણ ઉઠાવ્યા છે. પત્રમાં સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે ઘટનાને પગલે આરોગ્ય વિભાગ સક્રિય થયું અને કામગીરી હાથ ધરવામાં આવી તે બાબત આવકારદાયક છે. પરંતુ સાથે જ તેમણે એવી રજૂઆત કરી છે કે માત્ર ઘટના બને ત્યારબાદ કાર્યવાહી કરવાથી સમસ્યાનું કાયમી નિરાકરણ આવી શકે નહીં. કાયદો કડક હોવો જોઈએ અને તેનો અમલ પણ પ્રામાણિકતા તથા કોઈપણ પ્રકારના ભેદભાવ વગર થવો જોઈએ. સાથે જ કાનાણીએ સરકારને વિનંતી કરી છે કે આરોગ્ય સંબંધિત કાયદા અને નિયમો માત્ર કાગળ પર ન રહે, પરંતુ તેનો અસરકારક અને ઈમાનદારીપૂર્વક અમલ થાય. નિયમોનો ભંગ કરનાર સામે નિયમિત તપાસ અને કડક કાર્યવાહી થાય તે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું છે.
Read full article on News18 Gujarati