environment
ડભોઇ રોડ ઉપરની ક્રિશ્ના કાઠીયાવાડીની દાળમાંથી મકોડો નીકળ્યો:પનીરના શાકમાંથી વાળ નીકળતા હોબાળો, સંચાલકે કહ્યું, મિસ્ટેક થઈ ગઈ
ખાણીપીણીની ચીજવસ્તુઓની ગુણવત્તા સામે સવાલો કરતા અનેક કિસ્સાઓ છેલ્લા કેટલાક સમયમાં વધ્યા છે. ખાણીપીણીની ચીજ્વસ્તુઓ વેચતા સંચાલકો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા નજરે પડી રહયા છે. વડોદરા નજીક આવેલા ડભોઇ રોડ પર ખાણીપીણીની ગુણવત્તા સામે ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ધરવાસા ચોકડી નજીક આવેલા શ્રી ક્રિષ્ના કાઠીયાવાડી ઢાબામાં ભોજન કરવા માટે રોકાયેલા ગ્રાહકોને પીરસવામાં આવેલા ખોરાકમાંથી જીવાત અને વાળ મળી આવતા ભારે રોષ વ્યાપી ગયો છે. દાળમાંથી મકોડો નીકળતા હોબાળો પ્રાપ્ત વિગતો અનુસાર, ગ્રાહકે મંગાવેલી દાળમાંથી મકોડો અને પનીરના શાકમાંથી વાળ નીકળતા લોકોમાં તીવ્ર અસંતોષ જોવા મળ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ ચાણોદ-કરનાળી જેવા પ્રસિદ્ધ યાત્રાધામો તરફ જતા હજારો યાત્રાળુઓ અને પ્રવાસીઓ નિયમિતપણે આ જ માર્ગ પર આવેલા ધાબાઓમાં ભોજન માટે રોકાતા હોય છે. આવા મહત્વના માર્ગ પર આવેલી રેસ્ટોરન્ટમાં જ અસ્વચ્છતા અને આરોગ્ય સાથે ગંભીર ચેડા થતા યાત્રાળુઓની સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે. રસોડામાં પણ ભારે ગંદકી જોવા મળી જ્યારે પીડિત ગ્રાહકે આ અંગે ધાબાના સંચાલકનું ધ્યાન દોર્યું અને ફરિયાદ કરી, ત્યારે સંચાલકે પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરતા અત્યંત બેદરકારીપૂર્વક બાય મિસ્ટેક થઈ ગયું તેવો બચાવ રજૂ કર્યો હતો. સંચાલકના આવા જવાબથી ગ્રાહકોનો આક્રોશ વધુ વધ્યો હતો. ઢાબામાં રસોડાની અંદર જ્યાં ખોરાક તૈયાર કરવામાં આવે છે તે જગ્યા પર પણ ભારે ગંદકી નજરે પડી રહી છે, જે દર્શાવે છે કે અહીં સ્વચ્છતાના નિયમોનું મોટા પાયે ઉલ્લંઘન થઈ રહ્યું છે. રેસ્ટોરન્ટ માલિકોની આવી બેદરકારી સીધી રીતે લોકોના આરોગ્ય સાથે રમત સમાન છે. ક્યાં સુધી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા રહેશે? ભોજનમાંથી અસ્વચ્છ અને વાંધાજનક વસ્તુઓ મળવાના આ બનાવ બાદ હવે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ માંગ કરી રહ્યા છે કે આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાાગ તાત્કાલિક ધોરણે આ ધાબામાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરે. લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરતા આવા ઢાબાના સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે. હવે જોવાનું એ રહેશે કે આરોગ્ય તંત્ર આ ધાબા સામે ક્યારે તપાસ હાથ ધરે છે અને કેવા પ્રકારના પગલાં લે છે.
Read full article on Divya Bhaskar