business
કર્ણાવતી એક્સપ્રેસને નવસારીમાં કાયમી સ્ટોપેજ મળ્યું:નવસારીવાસીઓની વર્ષો જૂની માંગણી સંતોષાઈ, સ્ટોપેજથી દૈનિક મુસાફરો અને વિદ્યાર્થીઓને ફાયદો
નવસારીના રેલવે મુસાફરો માટે આનંદના સમાચાર છે. મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડતી પ્રખ્યાત કર્ણાવતી એક્સપ્રેસને નવસારી રેલવે સ્ટેશન ખાતે કાયમી સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ સાથે નવસારીવાસીઓની વર્ષો જૂની માંગણીનો સુખદ અંત આવ્યો છે. આ ઐતિહાસિક નિર્ણયને પગલે નવસારી રેલવે સ્ટેશન પર ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ટ્રેનને આવકારવા માટે એકઠા થયા હતા. આ સ્ટોપેજથી દૈનિક મુસાફરો અને વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે. નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે આ પ્રસંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, નવસારીના ઝડપી વિકાસ અને વધતી વસ્તીને કારણે કર્ણાવતી એક્સપ્રેસના સ્ટોપેજની વર્ષોથી લોકમાંગ હતી. વંદે ભારત બાદ હવે કર્ણાવતી એક્સપ્રેસનું સ્ટોપેજ મળવાથી પ્રજામાં ભારે ઉત્સાહ છે. તેમણે આ મહત્વના નિર્ણય બદલ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર માન્યો હતો. પાટીલે વધુમાં ઉમેર્યું હતું કે, મુસાફરોની સુવિધા માટે બોરીવલી-વલસાડ મેમુ ટ્રેનને હવે સુરત સુધી લંબાવવામાં આવી છે, જેથી નાના સ્ટેશનો પર અપ-ડાઉન કરતા લોકોને સરળતા રહેશે. તેમણે જણાવ્યું કે, અમદાવાદ-મુંબઈ વચ્ચે સવારે અને સાંજે દોડતી વંદે ભારત ટ્રેન તેમજ રાજસ્થાન તરફની વધુ ટ્રેનોના સ્ટોપેજ માટે પણ રેલવે મંત્રાલયમાં ગંભીરતાપૂર્વક વિચારણા ચાલી રહી છે. સુરત અને ઉધના રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટનું કામ પૂરું થતાં જ નવસારીને વધુ ટ્રેનોના સ્ટોપેજનો લાભ મળશે. નવસારી રેલવે સ્ટેશન સલાહકાર સમિતિના સભ્ય જયદીપ દેસાઈએ માહિતી આપી હતી કે, કર્ણાવતી એક્સપ્રેસના સ્ટોપેજ માટે જિલ્લા પ્રમુખ ભૂરા શાહ સાથેના ડેલિગેશને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની આગેવાનીમાં રેલવે મંત્રાલયને રજૂઆત કરી હતી, જે આજે સફળ થઈ છે. આ સ્ટોપેજથી મુસાફરોને અનેક ફાયદા થશે. ટ્રેનમાં AC અને રિઝર્વેશન કોચની સાથે 4 સામાન્ય (જનરલ) બોગીઓ પણ જોડવામાં આવી છે, જેથી ઈમર્જન્સીમાં તાત્કાલિક મુસાફરી કરનારાઓને સરળતા રહેશે. વડોદરા, આણંદ, નડિયાદ અને અમદાવાદ ખાતે ઉચ્ચ અભ્યાસ કરતા સેંકડો વિદ્યાર્થીઓ તેમજ દૈનિક નોકરિયાતો માટે આ ટ્રેન સમય અને ભાડા બંને દ્રષ્ટિએ આશીર્વાદરૂપ સાબિત થશે.
Read full article on Divya Bhaskar