crime
મુસાફરોની હાલાકીનો પાર નહીં:અમરેલીના નાગનાથ બસસ્ટેન્ડને અલીગઢના તાળા લાગ્યા
અમરેલી શહેરના નગરપાલિકા સંચાલિત નાગનાથ બસસ્ટેન્ડ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી તાળા લગાવી દેવામાં આવતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર ટોયલેટના રિનોવેશન માટેનું બોર્ડ લગાવી બસસ્ટેન્ડના બંને મુખ્ય દરવાજા બંધ કરી દેવામાં આવતા મુસાફરોને બહાર તડકામાં ઊભા રહી બસની રાહ જોવાની ફરજ પડી રહી છે. આમ તો, અમરેલી જિલ્લાનું વડું મથક હોવાથી જિલ્લાના તમામ તાલુકાઓ તેમજ આસપાસના ગામડાઓમાંથી દરરોજ મોટી સંખ્યામાં લોકો અમરેલી શહેરમાં અવરજવર કરે છે. નાગનાથ બસસ્ટેન્ડ પર રાજકોટ, કુકાવાવ, ભાવનગર, સુરત અને અમદાવાદ સહિતના શહેરો તરફ જતી બસો પકડવા માટે હજારો મુસાફરો આવતા હોય છે. આ ઉપરાંત ચિતલ, બાબરા, લાઠી સહિત આસપાસના વિસ્તારોના લોકો માટે પણ આ બસસ્ટેન્ડ મહત્વનું પરિવહન કેન્દ્ર છે. સરકાર દ્વારા લોકોની સુવિધા માટે કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક બસસ્ટેન્ડ બનાવવામાં આવ્યું હોવા છતાં હાલ મુસાફરોને તેની સુવિધાથી વંચિત રહેવું પડી રહ્યું છે. બસસ્ટેન્ડના બંને દરવાજા બંધ હોવાથી મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સહિતના મુસાફરોને તડકામાં તથા ધૂળની ડમરીઓ વચ્ચે બસની રાહ જોવી પડે છે. બસસ્ટેન્ડની અંદર પ્રવેશ ન મળતા મુસાફરો માટે બહાર પણ પૂરતી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી. હું જોવડાવી લઉ છું સમગ્ર મામલે જ્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ રાઠોડને આ વિશે જણાવતા તેઓને આ બાબતે કોઈ જાણકારીજ ન હોય તેમ માત્ર ટોયલેટને તાળા માર્યા હોવાનું જણાવી હું જોવડાવી લઉ છું કહી હાથ ઊંચા કરી લીધા હતા. કોઈ કામગીરી નહીં છતાં બસસ્ટેન્ડ બંધ હાલ રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું છે કે અહીં કોઈ પણ પ્રકારનું કામ ચાલી રહ્યું નથી છતાં પણ પાલિકા દ્વારા બસસ્ટેન્ડની ગ્રીલને તાળા મારી દેવતા લોકોને ભારે મુશ્કેલી વેઠવા મજબૂર કર્યા છે.
Read full article on Divya Bhaskar