politics
ખેડૂતોના વિવિધ પ્રશ્નો ઉકેલવા કલેક્ટરને કરાઈ રજૂઆત:વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકામાં સૌની યોજનાનું પાણી છોડવા ઉઠેલી માંગ: ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા અને યુવરાજસિંહ જાડેજા ખેડૂતો સાથે પહોંચ્યા કલેક્ટર કચેરી
જૂનાગઢ જિલ્લા કચેરી ખાતે પાણી, વીજળી અને વળતર સહિતના ખેડૂતોના મહત્વના અને પ્રાણપ્રશ્નો અંગે કલેક્ટર તેમજ જીઈબી ના ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર પાઠવી લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી.વરસાદ ખેંચાવાને કારણે ખેતીમાં સિંચાઈની ભારે તકલીફ ઊભી થઈ છે. આ પરિસ્થિતિમાં વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકાના ડેમ, નદીઓ, વોંકળા તેમજ તળાવોમાં સૌની યોજનાનું પાણી તાત્કાલિક ધોરણે છોડવામાં આવે તેવી ખેડૂતોની હાજરીમાં માંગ કરવામાં આવી છે. બીજા મુદ્દામાં, વીજ તંત્રની કનડગત અને દાદાગીરી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વીજળીના ટ્રીપીંગ, કપાત અને ટીસી બળી જવાના કિસ્સામાં તંત્ર દ્વારા સમયસર સમારકામ કરવામાં આવતું નથી. વીજ ચેકિંગ કે રેડ પાડવા માટે દંડ વસૂલવા ગાડીઓની કાફલી આવી જાય છે, પરંતુ ખેડૂતોના ફોલ્ટ સરખા કરવા કે સેવા આપવા માટે વાહનો કે કર્મચારીઓ ઉપલબ્ધ હોતા નથી. જો વીજ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો જીઈબી કચેરીનો ઘેરાવ કરવાની અને બહાર ખાટલા બેઠક યોજવાની પણ ચીમકી આપવામાં આવી છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોના મહત્વના ત્રણ મુદ્દા ઉપર રજૂઆત લઈને અમે કલેક્ટર કચેરીએ આવ્યા છીએ. પ્રથમ મુદ્દો એ છે કે હાલમાં વરસાદ ખેંચાવાના કારણે સિંચાઈના પાણીની ભારે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે. આ સંજોગોમાં વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકાના ડેમ, નદી, વોંકળા અને તળાવોની અંદર સૌની યોજનાનું પાણી છોડવામાં આવે તેવી રજૂઆત કલેક્ટરની રૂબરૂમાં ખેડૂતોની હાજરીમાં કરવામાં આવી છે. વધુમાં ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ વીજળીની સમસ્યા અંગે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, અત્યારે પાણી અને વરસાદ ન હોવાથી ખેડૂતો કૂવામાંથી કે રીંગબોરમાંથી પાણી સીંચીને પોતાના ખેતરોમાં સિંચાઈ કરી રહ્યા છે. પરંતુ લાઈટમાં સતત ઝટકા આવે છે, ટ્રીપીંગ થાય છે, ફોલ્ટ આવે છે અને ટીસી બળી જાય છે. જીઈબી તંત્ર સંવેદનાથી કામ કરવાના બદલે દાદાગીરીથી કામ કરી રહ્યું છે. ટીસી બળી જાય તો સમયસર રીપેર કે બદલી આપતા નથી. ચેકિંગ કે રેડ પાડવી હોય તો 10 ગાડીઓ આવી જાય છે, પરંતુ ખેડૂતોનું કામ કરવા કે રીપેરીંગ માટે એક ગાડી પણ મોકલવામાં આવતી નથી. આ ઉપરાંત ખેડૂત હિત રક્ષા સમિતિ અને ગધાવી તથા આજુબાજુના ગામના ખેડૂતોના ખેતરોમાં 220 કેવીના થાંભલા નાખવામાં આવ્યા છે, પરંતુ એમાં કોઈને એક પાવલીનું પણ વળતર ચૂકવાયું નથી. થાંભલો અને કમાણી કંપનીની અને હેરાન ખેડૂત થાય તે ન ચાલે. કાં તો આ થાંભલા હટાવી દેવામાં આવે અથવા પૂરેપૂરું વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જિલ્લાના ખેડૂતોને સાથે રાખીને કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે. સરકાર મોટા મોટા બણગાં ફૂંકે છે પણ વાસ્તવિકતા એ છે કે કેનાલો હોવા છતાં સૌની યોજનાનું પાણી હજુ સુધી પહોંચ્યું નથી, જેના કારણે ખેડૂતોને કૂવા કે બોર પર નિર્ભર રહેવું પડે છે અને ભૂગર્ભ જળના તળ નીચે જઈ રહ્યા છે. યુવરાજસિંહ જાડેજાએ પીજીવીસીએલના વહીવટ સામે સવાલો ઉઠાવતા ઉમેર્યું હતું કે, વીજ તંત્રના કર્મચારીઓએ સહાનુભૂતિપૂર્વક કામ કરવું જોઈએ, તેના બદલે દાદાગીરીથી કામ થઈ રહ્યું છે. વારેઘડીએ ટ્રીપીંગ અને કપાતવાળી લાઈટ આવવાના કારણે ખેતી કામ અટકી પડ્યું છે. આ વીજ સમસ્યાના લીધે પશુપાલકોને પણ નિરણ અને ઘાસચારાનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. જો તાત્કાલિક ધોરણે ટ્રીપીંગ અને વીજળીના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં તમામ ખેડૂતો અને નાગરિકોને ભેગા કરી જીઈબી કચેરીનો ઘેરાવ કરવામાં આવશે અને કચેરીની બહાર જ ખાટલા બેઠક યોજીને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે. દરમિયાન, આ સમગ્ર બાબતે પીજીવીસીએલના કાર્યપાલક એન્જિનિયરે માહિતી આપતા જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લા કચેરીએ માનનીય ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલીયા તરફથી વીજળી ક્ષેત્રને લગતી લેખિત અને મૌખિક રજૂઆતો મળી છે. અત્યારે વરસાદ ખેંચાયેલા હોવાથી વીજળીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે, જેને ધ્યાને રાખીને પીજીવીસીએલ કંપની સંપૂર્ણ રીતે કાર્યરત છે. ખેડૂતોના પ્રશ્નોને સુપેરે હલ કરવામાં આવશે અને વીજ પુરવઠો ત્વરિત અને સારી રીતે મળી રહે તે માટે યોગ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.
Read full article on Divya Bhaskar