top
ફાયર પંપમાંથી પાણી બંધ થયું, સેફ્ટી વિના રેસ્ક્યુ!:રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમી લોકમેળામાં મનપાની ફાયર મોકડ્રીલમાં નાટકીય દ્રશ્યો સર્જાયા
રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા 'વિરાસતથી વિકાસનો લોકમેળો' પૂર્વે વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી છે. મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય આગ કે દુર્ઘટના સર્જાય તો તેને પહોંચી વળવા માટે 31 ઓગસ્ટના રોજ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા વિશાળ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલ દરમિયાન ચકડોળમાં લાગેલી આગ ઓલવવા અને ઊંચાઈ પર ફસાયેલા લોકોને સુરક્ષિત નીચે ઉતારવાના ઉપાયોનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં સામે આવેલી કેટલીક ક્ષતિઓ અંગે ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓએ ફાયર ટીમને જરૂરી સુરક્ષા સાવચેતી રાખવા તાકીદ કરી હતી. ચકડોળમાં આગ અને ઊંચાઈ પરથી રેસ્ક્યૂનું મોકડ્રીલ યોજાયું મોકડ્રીલ દરમિયાન ચકડોળ રાઇડમાં અચાનક આગ લાગી હોવાનું દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું હતું, જ્યાં ફાયર એક્ઝ્ટીન્ગ્યુશર સાથે જવાનો તાત્કાલિક આગ પર કાબૂ મેળવવા પહોંચ્યા હતા. તે દરમિયાન ફાયર પંપમાંથી પાણી થોડીવાર નીકળ્યા બાદ બંધ થઈ જવાની ક્ષતિ પણ ધ્યાને આવી હતી. આ તરફ ચકડોળ નજીકથી 2 વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે રાઇડમાં ઊંચાઈ પર ફસાયેલા અન્ય 2 લોકોને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી સફળતાપૂર્વક નીચે ઉતારી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. જોકે રાઇડમાંથી લોકોને સેફ્ટી બેલ્ટ વિના જ નીચે ઉતારવામાં આવતાં સ્થળ પર ઉપસ્થિત એડિશનલ કલેક્ટર જય બારોટ તેમજ લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને પુરવઠા અધિકારી અજય ઝાંપડાએ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલાને સુરક્ષાના નિયમોનું ચુસ્ત પાલન કરવા નિર્દેશ આપ્યો હતો. બે પ્રકારના કોલનું સફળ મોનિટરિંગ કરાયું રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલાએ સમગ્ર મોકડ્રીલ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે ફાયર વિભાગ દ્વારા ફાયર કોલ અને રેસ્ક્યૂ કોલ એમ બે પ્રકારની કટોકટી પરિસ્થિતિનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં રાઇડમાં ફાયર ફાઇટિંગ કરીને સ્થળ પરથી 1 વ્યક્તિને બચાવી લેવાયો હતો, તેમજ ઊંચાઈ પર ફસાયેલા 2 વ્યક્તિઓને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી સહીસલામત ઉતારી પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલાઇઝ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. મેળામાં 24/7 તહેનાતી, નાના ફાયર ટેન્ડર અને વિશેષ ઈમરજન્સી રૂટની વ્યવસ્થા મેળા દરમિયાન લાખો લોકોની જનમેદની વચ્ચે ઝડપી બચાવ કામગીરી થઈ શકે તે માટે ફાયર વિભાગ દ્વારા સાંકડી જગ્યાઓમાં પ્રવેશી શકે તેવા નાના ફાયર ટેન્ડરોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત કોઈ પણ આપાતકાલીન સ્થિતિમાં ફાયર વાહનો સીધા ઘટનાસ્થળે પહોંચી શકે તે હેતુથી મેળા પરિસરમાં ડેડિકેટેડ ઈમરજન્સી રૂટનું આયોજન કરવામાં આવ્યું છે. મેળાના પાંચેય દિવસ દરમિયાન દરેક શિફ્ટમાં 42 જવાનો અધિકારીઓ સાથે 24 કલાક સતત ખડેપગે રહેશે, જેથી કોઈ પણ અણબનાવ સમયે ગણતરીની મિનિટોમાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી શકાય.
Read full article on Divya Bhaskar