top
ખાનગી યુનિવર્સિટીઓની મનમાની સામે યુવરાજસિંહ જાડેજા લાલઘૂમ:કર્ણાવતી અને પારુલ યુનિવર્સિટીમાં ફી રિફંડ, લૂંટ અને રેગિંગના આક્ષેપો સાથે સરકાર સમક્ષ મોરચો
રાજ્યની જાણીતી ખાનગી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક, નાણાકીય હિતો અને સુરક્ષા સાથે થઈ રહેલા ચેડાં સામે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકાર સમક્ષ મોરચો માંડ્યો છે. ગાંધીનગરના ઉવારસદ સ્થિત કર્ણાવતી યુનિવર્સિટી અને વડોદરાના વાઘોડિયા સ્થિત પારુલ યુનિવર્સિટીમાં નિયમો નેવે મૂકીને થતી ફી વસૂલાત, હોસ્ટેલ રિફંડમાં ધાંધિયા અને કેમ્પસમાં રેગિંગ-ગેરવર્તણૂક મુદ્દે તેમણે શિક્ષણ વિભાગમાં વિસ્તૃત રજૂઆત કરી છે. કર્ણાવતી યુનિવર્સિટીમાં પ્રવેશ રદ કરાવનાર સુરતના વિદ્યાર્થીને ₹2.20 લાખની હોસ્ટેલ ફી પરત ન અપાતાં તેમણે તંત્ર સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. UGCના આદેશ છતાં કર્ણાવતી યુનિ. દ્વારા હોસ્ટેલ ફી રિફંડમાં ઠાગાઠૈયા યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, સુરતના વિદ્યાર્થી આયુષ સોરઠીયાએ જુલાઈ-ઓગસ્ટ 2024 દરમિયાન તબીબી કારણોસર પ્રવેશ રદ કરાવ્યો હતો. નિયમ મુજબ કોલેજ ફી પેટે વળતર મળ્યું હોવા છતાં હોસ્ટેલ ફી પેટે જમા લેવાયેલા ₹2,60,000માંથી બાકી નીકળતા ₹2,20,000 યુનિવર્સિટીએ હજુ સુધી પરત કર્યા નથી. આ બાબતે ખુદ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા ઈમેલ અને પત્રો પાઠવી રિફંડ ચૂકવવા તાકીદ કરાઈ છે તેમજ ઉચ્ચ શિક્ષણ કમિશનર દ્વારા રજિસ્ટ્રારને સુનાવણી માટે તેડાવવામાં આવ્યા હોવા છતાં વિદ્યાર્થીના નાણાં દબાવી રાખવામાં આવ્યા હોવાનો આરોપ મુકાયો છે. AI અને કલ્ચરલ એક્ટિવિટીના નામે વધારાના ચાર્જિસ કર્ણાવતી યુનિવર્સિટી સામે આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું કે, નિયમિત ટ્યુશન ફી ઉપરાંત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના નામે ₹6,000થી ₹12,000 અને કલ્ચરલ એક્ટિવિટીના નામે ફરજિયાતપણે ₹5,000 જેવી વધારાની રકમ વિદ્યાર્થીઓ પાસેથી પડાવવામાં આવે છે. એટલું જ નહીં, પ્રવેશ સમયે વિદ્યાર્થીઓના અસલ શૈક્ષણિક પ્રમાણપત્રો જમા રાખી લેવાય છે અને જો કોઈ વિદ્યાર્થી અધવચ્ચેથી અભ્યાસ છોડે તો તેની પાસેથી સમગ્ર કોર્સની પૂરી ફી માંગવામાં આવતી હોવાની ગંભીર બાબતો સામે આવી છે. પારુલ યુનિ.માં લેટ ફી, ફરજિયાત હોસ્ટેલ અને સિનિયર્સ દ્વારા રેગિંગનો ત્રાસ વાઘોડિયા સ્થિત પારુલ યુનિવર્સિટી અંગે રજૂઆત કરતાં તેમણે જણાવ્યું કે, પરીક્ષા ફી અને લેટ ફીના નામે મનસ્વી ચાર્જ વસૂલવામાં આવે છે. વિદ્યાર્થીઓને તેમની મરજી વિરુદ્ધ હોસ્ટેલમાં રહેવા દબાણ કરાય છે, જ્યાં ગંદકી અને અત્યંત હલકી ગુણવત્તાવાળા ભોજનની ફરિયાદો છે. વધુ ગંભીર બાબત એ છે કે કેમ્પસમાં જુનિયર વિદ્યાર્થીઓ સાથે સિનિયર્સ દ્વારા રેગિંગ કરવામાં આવે છે અને સિક્યુરિટી ગાર્ડ્સ દ્વારા વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરવામાં આવતી હોવાના અહેવાલો છે. ફરિયાદ કરનારા વિદ્યાર્થીઓને એકેડેમિક નુકસાન પહોંચાડવાની ધમકી અપાતી હોવાથી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરાઈ છે. બાકી ફી નહીં ચૂકવાય તો સચિવાલય સામે ધરણાં અને આંદોલનની ચીમકી યુવરાજસિંહ જાડેજાએ સમગ્ર કૌભાંડોની પારદર્શક તપાસ માટે સ્વતંત્ર ઉચ્ચસ્તરીય તપાસ કમિટીની રચના કરવા માંગ કરી છે. પારુલ યુનિવર્સિટીમાં હોસ્ટેલ-મેસનું ઓડિટ કરવા અને રેગિંગના સીસીટીવી ફૂટેજ ચકાસી ગુનેગારો સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. કર્ણાવતી યુનિવર્સિટીના મામલે તેમણે સરકાર અને સંચાલકોને સ્પષ્ટ 7 દિવસનું અલ્ટીમેટમ આપતાં ચેતવણી આપી છે કે, જો વિદ્યાર્થીની ₹2.20 લાખની હોસ્ટેલ ફી તત્કાલ પરત નહીં થાય તો લોકશાહી આંદોલન અને ધરણાં પ્રદર્શન કરવામાં આવશે.
Read full article on Divya Bhaskar