politics
સુરેન્દ્રનગરમાં આવક પ્રમાણપત્ર માટે વધુ ફી વસૂલાત:વિચરતા સમુદાય મંચે મામલતદારને રજૂઆત કરી, કચેરીમાં કામગીરી શરૂ કરવા માંગ
સુરેન્દ્રનગર સિટી મામલતદાર કચેરીમાં આવક પ્રમાણપત્રની કામગીરી બંધ હોવાથી નાગરિકોને ભારે મુશ્કેલી પડી રહી છે. શિષ્યવૃત્તિ, સરકારી યોજનાઓ અને વિવિધ પ્રવેશ પ્રક્રિયાઓ માટે આવક પ્રમાણપત્ર ફરજિયાત હોય છે. આ મુદ્દે વિચરતા સમુદાય સમર્થન મંચના આગેવાન હર્ષદ વ્યાસે મામલતદાર અને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆત મુજબ, કચેરીમાં આવક પ્રમાણપત્ર માટે પૂછપરછ કરતા અરજદારોને બહારના સાયબર કાફેમાંથી ઓનલાઈન ફોર્મ ભરાવી લાવવા જણાવાય છે. આ સાયબર કાફે સરકાર દ્વારા નિર્ધારિત રૂ. ૨૦ની ફી કરતાં વધુ રકમ વસૂલી રહ્યા હોવાનો આક્ષેપ છે. કેટલીક જગ્યાએ રૂ. ૧૫૦ થી રૂ. 200 સુધીની રકમ લેવામાં આવતી હોવાનું જણાવાયું છે.આ વધારાનો ખર્ચ ખાસ કરીને વિચરતી અને વિમુક્ત જાતિના લોકો, સામાન્ય તથા મધ્યમ વર્ગના નાગરિકો અને વિદ્યાર્થીઓના વાલીઓ માટે આર્થિક બોજ બની રહ્યો છે. સરકારે પ્રજાની સુવિધા માટે 'ડિજિટલ સેવા સેતુ' જેવી ઓનલાઈન વ્યવસ્થા શરૂ કરી છે. જોકે, અગાઉ કચેરીમાં કામગીરી કરતા ઓપરેટરોના લૉગિન આઈડી બંધ કરી દેવાયા હોવાથી તેઓ આવક પ્રમાણપત્રની કામગીરી કરી શકતા નથી. આ સ્થિતિનો લાભ લઈને કેટલાક સાયબર કાફે સંચાલકો દ્વારા વધુ રકમ વસૂલવામાં આવતી હોવાનો આક્ષેપ છે. હર્ષદ વ્યાસે પોતાની રજૂઆતમાં મામલતદાર કચેરી ખાતે જ અગાઉની જેમ આવક પ્રમાણપત્રની કામગીરી ફરી શરૂ કરવાની માંગ કરી છે. તેમણે સરકાર દ્વારા નિયત કરાયેલી રૂ. ૨૦ની ફી મુજબ નાગરિકોને પ્રમાણપત્ર મળી રહે તેવી યોગ્ય અને તાત્કાલિક વ્યવસ્થા ગોઠવવા વિનંતી કરી છે.
Read full article on Divya Bhaskar