સૌરાષ્ટ્રવાળા અહીં ઘણા છે, માવા આવ્યા કે નહીં? પિચકારી મારવા પર પીએમ મોદીએ કરી ટકોર
pm modi navsari speech: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ નવસારીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે નેશનલ હાઇવે ગ્રીડ નજીક ભારતીય જનતા પાર્ટીના દેશના સૌપ્રથમ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત અત્યાધુનિક કાર્યાલય 'નમો કમલમ'નું લોકાર્પણ કર્યું હતું. આ ઐતિહાસિક કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમ સ્થળે 5000 થી વધુ આગેવાનો અને કાર્યકરો પ્રત્યક્ષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સમગ્ર જિલ્લામાં 4000 સ્ક્રીન મારફતે 1.15 લાખ લોકો આ ક્ષણના સાક્ષી બન્યા હતા.
પોતાના સંબોધનમાં વડાપ્રધાને નવસારીમાં વસતા સૌરાષ્ટ્રના લોકોની પાન-મસાલા અને માવા ખાવાની કુટેવ પર કટાક્ષ કરતા માર્મિક ટકોર કરી હતી. તેમણે કહ્યું કે, "અહીં સૌરાષ્ટ્રના ઘણા ભાઈઓ રહે છે, તેમણે નવસારીને માવાની ટેવ આપી છે કે નહીં તે મને ખબર નથી, પરંતુ કેટલાક લોકો 'ભારત માતા કી જય' બોલે છે અને તરત જ પિચકારી મારે છે." પીએમ મોદીએ કેન્સરના નિષ્ણાત તબીબોની ચિંતાનો ઉલ્લેખ કરતા લોકોને માવા અને તમાકુથી મુક્તિ મેળવવા હાકલ કરી હતી. નોંધનીય છે કે, ગુજરાતમાં તમાકુ, ગુટખા અને માવાના વધુ પડતા સેવનને કારણે મોઢાના અને ગળાના કેન્સરના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. મોઢું ન ખૂલવું (OSMF) અને લ્યુકોપ્લેકિયા જેવા કેન્સર પૂર્વેના લક્ષણો યુવાનોમાં પણ જોવા મળી રહ્યા છે, ત્યારે વડાપ્રધાનની આ સ્વાસ્થ્યલક્ષી અપીલ અત્યંત સૂચક છે.
આ ઉપરાંત, પીએમ મોદીએ સરકારની લોકકલ્યાણકારી નીતિઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, અગાઉ લારીવાળાઓ ભારે વ્યાજના બોજ હેઠળ દબાયેલા હતા, પરંતુ ભાજપ સરકારે તેમની સાચી ચિંતા કરી છે. તેમણે કહ્યું કે, ભાજપે આપણને સેવાના સંસ્કાર આપ્યા છે; આપણા માટે સમાજ સર્વોપરી છે અને જનતા જનાર્દન એ જ ભગવાનનું સ્વરૂપ છે. વડાપ્રધાને સ્વચ્છતાને માત્ર એક ઝુંબેશ ન રાખતા તેને ઉત્સવ અને રોજિંદા સંસ્કાર બનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. આરોગ્ય ક્ષેત્રે વાત કરતા તેમણે જણાવ્યું કે, જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવો એ દરેક માતાના આશીર્વાદ મેળવવા સમાન છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, આધુનિક સારવારના કારણે હવે 6 મહિનામાં ટીબી (TB) જેવા ગંભીર રોગમાંથી પણ સંપૂર્ણપણે મુક્તિ મેળવી શકાય છે.
નવસારીના વિકાસમાં કાર્યકરોના અથાગ પરિશ્રમની પ્રશંસા કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, અહીંના લોકોએ ભાજપને ખોબલે ખોબલે મત આપીને સી. આર. પાટીલને જંગી લીડથી જિતાડીને આખા હિન્દુસ્તાનમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર દિવસ-રાત જનસેવાના કાર્યોમાં મગ્ન રહે છે. સંગઠન અને વ્યવસ્થા બંને માત્ર ને માત્ર સેવા માટે જ સમર્પિત છે. કાર્યક્રમમાં ઘણા જૂના જોગીઓ (કાર્યકરો) ના દર્શન કરવાનો અને તેમને મળવાનો અવસર મળ્યો તેનો આનંદ વ્યક્ત કરતા તેમણે અંતમાં કહ્યું કે, જનતા દ્વારા આવતું પરિવર્તન હંમેશા સ્થાયી હોય છે અને કાર્યકર્તાઓની નિસ્વાર્થ તપસ્યાના કારણે જ આજે પાર્ટીને જનતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે.