top
વડનગરના જૂની વાગડી ગામમાં દીપડાએ દેખા દીધી:વાછરડાનું મારણ કરી ગ્રામજનો પર હુમલો કરવાનો પ્રયાસ, વન વિભાગે કહ્યું- કોઈ દીપડો નથી આવ્યો
મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના જૂની વાગડી ગામની સીમમાં છેલ્લા ત્રણ વર્ષથી દીપડાની સતત હાજરી અને પશુઓ પર હુમલાની ઘટનાઓથી ગ્રામજનોમાં ભારે દહેશતનો માહોલ ફેલાયો છે. સીમ વિસ્તારમાં બે દિવસમાં એક બકરી અને વાછરડાનું મારણ થતાં લોકોમાં ભયનો માહોલ છે. આ મામલે ગ્રામજનો અને વન વિભાગ આમને-સામને આવી ગયા છે, જ્યાં ગ્રામજનો દીપડાને પાંજરે પૂરવાની માંગ કરી રહ્યા છે, જ્યારે વન વિભાગે દીપડાના પગના નિશાન ન મળ્યા હોવાનું કહી શિકાર કૂતરાએ કર્યો હોવાની શક્યતા દર્શાવતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બે દિવસમાં બકરી અને વાછરડાનો શિકાર જૂની વાગડી ગામના મહિલા સરપંચના પતિ મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર સીમ વિસ્તારમાં પરમ દિવસે દીપડાએ એક બકરીનો શિકાર કર્યો હતો. ત્યારબાદ બીજા દિવસે સવારે ગામના ખરાબામાં માલધારી પશુઓ ચરાવી રહ્યા હતા ત્યારે દીપડો એક વાછરડાને ઉઠાવી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં ગ્રામજનો સીમમાં પહોંચ્યા ત્યારે દીપડો વાછરડાનું મારણ કરતો નજરે પડ્યો હતો. લોકોએ બૂમાબૂમ કરતાં દીપડાએ ગ્રામજનો પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં ઝાડીઓમાં ભાગી છૂટ્યો હતો. ‘3 વર્ષથી ત્રાસ છતાં તંત્ર માત્ર પાંજરું મૂકી સંતોષ માને છે’ સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા 3 વર્ષથી આ સીમમાં દીપડાની અવરજવર સતત રહે છે. સરપંચના પતિએ જ્યારે વડનગર વન વિભાગને જાણ કરી ત્યારે RFO તરફથી એવો જવાબ મળ્યો હતો કે આ વિસ્તાર દીપડાનો કુદરતી વસવાટ હોવાથી તે આવશે જ. ગ્રામજનોનો આક્ષેપ છે કે વન વિભાગ માત્ર દેખાડા ખાતર પાંજરું મૂકીને સંતોષ માની લે છે અને કોઈ નક્કર પગલાં ભરતું નથી. “દીપડાના કોઈ સગડ નથી, કૂતરાએ બટકું ભર્યું હશે”: RFO તેજલબેન ચૌધરી આ સમગ્ર મામલે વડનગર રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) તેજલબેન ચૌધરીએ અલગ જ દાવો રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું કે, સીમ વિસ્તારમાં કોઈ દીપડો દેખાયો નથી તેમજ તેના પગના નિશાન (પગમાર્ક) પણ મળ્યા નથી. ગ્રામજનોમાં ફેલાયેલો ડર દૂર કરવા માટે સાવચેતીના ભાગરૂપે પાંજરું ગોઠવવામાં આવ્યું છે. મૃત પશુની સ્થિતિ જોતાં કોઈ કૂતરાએ બટકું ભર્યું હોય તેવું અનુમાન છે. વન વિભાગના આ પ્રકારના દાવા અને બચાવથી સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોમાં ભારે નારાજગી અને આક્રોશ ફેલાયો છે. ગ્રામજનોએ રાત્રિના સમયે સીમમાં જવાનું ટાળ્યું છે અને વહેલી તકે દીપડાને પાંજરે પૂરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે.
Read full article on Divya Bhaskar