politics
જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ:નાગરિકલક્ષી કામોની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરાઈ; પ્રભારી સચિવે નાગરિકોના પ્રશ્નો ઉકેલવા ખાસ ડ્રાઇવ સૂચવી
જિલ્લા સેવા સદન ખાતે પ્રભારી સચિવ જેનુ દેવનના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમારની ઉપસ્થિતિમાં, જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અને વિવિધ નાગરિકલક્ષી કામોની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં ગીરગઢડા તાલુકાના ખીલાવડ ગામે રસ્તા પર બાયપાસની જરૂરિયાતનો પ્રશ્ન રજૂ થયો. કોદિયા ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં આવેલા જર્જરિત આવાસો દૂર કરવા અંગે પણ ચર્ચા થઈ. સૂત્રાપાડા અને તાલાળા નગરપાલિકામાં જન્મ-મરણ નોંધણી, ગ્રામ પંચાયતની આવક-વપરાશ, અને નાણાપંચની ગાઈડલાઈન મુજબ ગ્રામ પંચાયતના વોર્ડ માટે આયોજન જેવા મુદ્દાઓ પણ જનપ્રતિનિધિઓએ રજૂ કર્યા. આ ઉપરાંત, બાદલપરા ગામે સાયકલોન સેન્ટર બનાવવાની માંગ અને વેરાવળ તાલુકા-શહેરમાં સુડા અંતર્ગત જર્જરિત બિલ્ડિંગોના પુનઃનિર્માણ માટે મંજૂરી આપવાના પ્રશ્ને પણ અધિકારીઓ સાથે ચર્ચા થઈ. પ્રભારી સચિવ જેનુ દેવને રજૂ થયેલા તમામ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી. તેમણે સંબંધિત વિભાગોના અધિકારીઓને સમયમર્યાદામાં જરૂરી વિગતો પૂરી પાડવા સૂચના આપી. વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન જાળવીને કામગીરી કરવા અને નાગરિકોની મુશ્કેલીઓનો ત્વરિત ઉકેલ લાવવા ખાસ ડ્રાઈવ યોજવા પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું. પ્રભારી સચિવે અધિકારીઓના વહીવટી પ્રશ્નો અંગે પણ મહત્વની સૂચનાઓ આપી. તેમણે અધિકારીની નિવૃત્તિના છ મહિના અગાઉથી પેન્શન કેસ તૈયાર કરવા, એનપીએસમાંથી ઓપીએસમાં ફેરવવાની પ્રક્રિયા, તેમજ ફિક્સ-પેમાંથી ફૂલ-પેમાં આવેલા કર્મચારીઓની બાકી રહેલી પ્રક્રિયા પ્રો-એક્ટિવ અભિગમ સાથે પૂર્ણ કરવા જણાવ્યું. કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ વારસાઈ સંબંધિત પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી. નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલેએ વિવિધ કચેરીઓના પત્રકોના રિવ્યૂ, અરજીઓના સમયમર્યાદામાં નિકાલ, સિટિઝન ચાર્ટર, પેન્શન કેસ, સરકારી લેણાની વસૂલાત, અને જનપ્રતિનિધિઓના પ્રશ્નોના નિકાલ અંગેની વિગતો રજૂ કરી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.
Read full article on Divya Bhaskar