politics
તલાટી ભાવેશ સરવૈયા નોકરીમાંથી બરતરફ:અનધિકૃત ગેરહાજરી અને ખોટા પ્રમાણપત્ર મામલે કાર્યવાહી
તાપી જિલ્લાના સોનગઢ-કુકરમુંડા તાલુકામાં ફરજ બજાવતા મહેસુલી તલાટી ભાવેશ પી. સરવૈયાને સરકારી નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. સરકારી સેવામાં ગંભીર બેદરકારી, ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ અને લાંબી અનધિકૃત ગેરહાજરીને કારણે તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના આદેશથી આ કાર્યવાહી કરવામાં આવી છે. આ શિક્ષાત્મક પગલાથી વહીવટી વર્તુળમાં ચર્ચા જાગી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સોનગઢ મામલતદારે તલાટી વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ વિગતવાર અહેવાલ મોકલ્યો હતો. તેના આધારે હાથ ધરવામાં આવેલી ખાતાકીય તપાસમાં તલાટી સામેના ગેરરીતિ અને અનિયમિતતાના તમામ ગંભીર આરોપો સાબિત થયા હતા. અગાઉ પણ ફરજમાં ગંભીર બેદરકારી બદલ તેમના ત્રણ વાર્ષિક ઇન્ક્રિમેન્ટ કાયમી ધોરણે રોકી દેવાની કાર્યવાહી થઈ હતી, તેમ છતાં તેમના વર્તનમાં સુધારો થયો નહોતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, તલાટી ભાવેશ સરવૈયા 5 મે, 2022 થી 28 ફેબ્રુઆરી, 2025 સુધીના કુલ 1031 દિવસના સમયગાળા દરમિયાન કોઈપણ અધિકૃત મંજૂરી વગર લાંબા સમય સુધી ગેરહાજર રહ્યા હતા. આ સમયગાળામાં તેઓ 394 દિવસ સુધી ફરજ પર આવ્યા જ નહોતા. એટલું જ નહીં, ગેરહાજરી છુપાવવા તેમણે રજૂ કરેલું તબીબી બીમારીનું પ્રમાણપત્ર પણ સિવિલ સર્જન (વ્યારા)ના ફિટનેસ સર્ટિફિકેટના આધારે બનાવટી હોવાનું સાબિત થયું હતું. વહીવટી તંત્ર દ્વારા નિયમોનુસાર તલાટીને કારણ દર્શક નોટિસો ફટકારવામાં આવી હતી અને સુનાવણીની પૂરતી તકો પણ આપવામાં આવી હતી. જોકે, તેઓ પોતાના બચાવમાં કોઈ સંતોષકારક ખુલાસો કે પુરાવા રજૂ કરી શક્યા નહોતા. આથી, ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો, 1971ના ભંગ બદલ અને શિસ્ત-અપીલના નિયમો હેઠળ તેમને ભવિષ્યની કોઈપણ સરકારી નોકરી માટે ગેરલાયક ઠરાવવામાં ન આવે તે રીતે સેવામાંથી મુક્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્રના આ કડક નિર્ણયથી ગેરશિસ્ત આચરતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Read full article on Divya Bhaskar