top
ધોરાજી-જૂનાગઢ હાઇ-વે પર ઓવરટેક બાબતે માથાકૂટ:સામસામે જોવાની બાબતે મારામારીમાં બહાદુરપુરાના યુવકનું મોત, અન્ય એક ઇજાગ્રસ્ત
રાજકોટ જિલ્લાના ધોરાજીથી જૂનાગઢ તરફ દવાખાનાના કામ અર્થે જઈ રહેલા અનુસૂચિત જાતિ સમાજના બે યુવાનો પર માર્ગમાં અજાણ્યા બાઇકસવારો દ્વારા નજીવી બાબતે હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. ધોરાજી-જૂનાગઢ હાઇવે પર વાહન ઓવરટેક કરવા તેમજ સામસામે જોવાની ક્ષુલ્લક તકરારમાં ઉશ્કેરાયેલા શખ્સોએ હુમલો કરી દેતાં બહાદુરપુરાના યુવાનનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે તેની સાથે રહેલો અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થયો છે. ઘટનાના પગલે પંથકમાં ભારે અરેરાટી સાથે રોષ ફેલાયો છે અને જૂનાગઢ પોલીસે હત્યા તેમજ મારામારીની દિશામાં કાયદેસરની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઓવરટેક અને નજર મળવાની ક્ષુલ્લક બાબતે બોલાચાલી ઘટના સંદર્ભે ઇજાગ્રસ્ત યુવક રાજ લલિતભાઈ વિંઝુડાએ જણાવ્યું હતું કે તેઓ અને તેમના ભાઈ જયેશ ડાહ્યાભાઈ વિંઝુડા પોતાના સ્પ્લેન્ડર મોટરસાઇકલ પર સવાર થઈને ધોરાજીથી જૂનાગઢ હોસ્પિટલના કામે જઈ રહ્યા હતા. આ દરમિયાન જયેશભાઈ બાઇક ચલાવી રહ્યા હતા ત્યારે રસ્તામાં હોન્ડા શાઇન બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો સાથે વાહન આગળ કાઢવા અને સામસામે ઘૂરીને જોવાની બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી જોતજોતામાં હિંસક ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી અને બંને અજાણ્યા શખ્સોએ કોઈ હથિયાર વિના હાથ વડે જયેશભાઈના માથાના ભાગે ઉપરાઉપરી જોરદાર ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. માથામાં ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડ્યું આ આકસ્મિક હુમલામાં માથાના ભાગે ગંભીર ફટકા વાગવાને કારણે જયેશભાઈ અર્ધબેભાન થઈને માર્ગ પર ઢળી પડ્યા હતા અને ગણતરીની મિનિટોમાં જ તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. વચ્ચે બચાવવા પડેલા રાજ વિંઝુડાને પણ માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. હુમલો કર્યા બાદ બંને આરોપીઓ પોતાની બાઇક લઈને જૂનાગઢ તરફ પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયા હતા. બનાવ બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી ઇજાગ્રસ્ત અને મૃતકને તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ જયેશભાઈને તપાસીને મૃત જાહેર કર્યા હતા. મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે મોકલાયો આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને અનુસૂચિત જાતિ સમાજના અગ્રણી યોગેશ ભાષા સહિતના આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મૃતકના શરીર પર કોઈ દેખીતી બાહ્ય ઇજાઓ જણાતી નથી, પરંતુ માથાના અંદરના ભાગે થયેલી ગંભીર હેડ ઇન્જરી અથવા મગજની નસ ફાટી જવાને કારણે આ મોત થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. આગામી સમયમાં ધાર્મિક તહેવારો અને શોભાયાત્રાઓ હોવાથી શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે ફોરેન્સિક પીએમ પૂર્ણ થાય તે પહેલાં જ પોલીસે ફરાર હુમલાખોરોની ધરપકડ કરવી જોઈએ એવી માંગ ઉઠી છે. જૂનાગઢ પોલીસ દ્વારા CCTV અને બાતમીદારોની મદદથી તપાસ આ બનાવ જૂનાગઢ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં બન્યો હોવાથી સમગ્ર ઘટનાનું ચોક્કસ કારણ અને હકીકત ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં ભોગ બનનાર ઇજાગ્રસ્ત યુવકના નિવેદન અને ફરિયાદના આધારે પોલીસે હાઇવે પરના સીસીટીવી ફૂટેજ ચકાસીને શાઇન બાઇક પર નાસી છૂટેલા બંને અજાણ્યા આરોપીઓની ઓળખ મેળવવા અને તેમને જેલના સળિયા પાછળ ધકેલવા માટે વિવિધ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.
Read full article on Divya Bhaskar