રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
Rajkot Lodhika Sangh election: રાજકોટ લોધિકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીએ ગુજરાતના સહકારી રાજકારણમાં મોટો ભૂકંપ સર્જ્યો છે. આ ચૂંટણીમાં ભાજપની સત્તાવાર મેન્ડેટ પ્રથા સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે અને સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયા જૂથનો દબદબો ફરી એકવાર સાબિત થયો છે. સંઘની કુલ 15 બેઠકોમાંથી 10 બેઠકો અગાઉથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી હતી, જ્યારે બાકીની 5 બેઠકો પર યોજાયેલા ખરાખરીના જંગનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે.
બેઠકવાર ચૂંટણી પરિણામોની વિગતો
કુવાડવા બેઠક: આ બેઠક પર ભાજપના ઉમેદવાર અને પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીની અત્યંત કારમી અને શરમજનક હાર થઈ છે. આશ્ચર્યની વાત એ છે કે, તેમને પોતાનો જ માત્ર 1 મત મળ્યો હતો. તેમની સામે રાદડિયા જૂથના નીતિન ચોવટિયાએ શાનદાર જીત નોંધાવી છે.
માધાપર બેઠક: અહીં પણ જયેશ રાદડિયા જૂથના વિજય સખિયા વિજેતા બન્યા છે, જ્યારે તેમની સામે લડી રહેલા પ્રશાંત કોરાટ જૂથના દિગ્ગજ આગેવાન પૃથ્વીસિંહ જાડેજાને હારનો સામનો કરવો પડ્યો છે.
હલેન્ડા બેઠક: આ બેઠક પર રાદડિયા જૂથના મનાતા મહેશ આસોદરિયાએ સ્પષ્ટ વિજય પ્રાપ્ત કર્યો છે.
ત્રંબા બેઠક: આ બેઠક પર ભારે રસાકસી જોવા મળી હતી. મતગણતરીના અંતે ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી, જેમાં નસીબે સાથ આપતા ભાજપના મેન્ડેટવાળા ઉમેદવાર નીતિન રૈયાણીની જીત થઈ હતી.
ખોખળદડ બેઠક: આ બેઠક પર અન્ય ઉમેદવારોના ટેકાથી પ્રશાંત કોરાટ જૂથના અને ભાજપનું મેન્ડેટ ધરાવતા બાબુભાઈ નસીત વિજેતા જાહેર થયા છે.
આમ, ચૂંટણી યોજાઈ તે 5 બેઠકોમાંથી 3 બેઠક પર રાદડિયા જૂથના અને 2 બેઠક પર પ્રશાંત કોરાટ જૂથના ઉમેદવારોની જીત થઈ છે, જ્યારે ભાજપના મેન્ડેટવાળા 3 ઉમેદવારોને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા બાદ હવે જયેશ રાદડિયાએ રાજકોટ જિલ્લાના સહકારી માળખા પર પોતાની પકડ અતૂટ રાખી છે. આગામી સમયમાં રાજકોટ માર્કેટ યાર્ડ અને રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણીઓ પણ આવી રહી છે, ત્યારે આ વર્તમાન સમીકરણો જોતાં તેમાં પણ રાદડિયા જૂથનું જ વર્ચસ્વ રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.
વિપક્ષ કોંગ્રેસના આકરા પ્રહાર
ભાજપના મેન્ડેટનો ખુલ્લેઆમ અનાદર થતાં કોંગ્રેસને આકરા પ્રહાર કરવાની તક મળી ગઈ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નિશાન સાધતા જણાવ્યું હતું કે, ભાજપે સહકારી માળખાને રાજકારણનો અખાડો બનાવી દીધો છે. સહકારી ક્ષેત્રમાં મેન્ડેટના બહાને ભાજપની આંતરિક ગેંગવોર ખુલ્લી પડી ગઈ છે, જે આગામી દિવસોમાં રસ્તા પર જોવા મળશે. બીજી તરફ, કોંગ્રેસના નેતા લલિત વસોયાએ ઇફકો ની ચૂંટણીનો સંદર્ભ આપતા કટાક્ષ કર્યો હતો કે, તે સમયે પણ જયેશ રાદડિયા ભાજપના મેન્ડેટની સામે લડીને જીત્યા હતા છતાં તેમનો વાળ વાંકો થયો ન હતો. તેમણે દાવો કર્યો છે કે, ભાજપ સંગઠનમાં હવે એટલી તાકાત જ બચી નથી કે તેઓ મેન્ડેટનો અનાદર કરનાર કોઈ પણ વ્યક્તિ સામે કડક શિસ્તભંગની કાર્યવાહી કરી શકે.