top
શાપર વેરાવળમાં સાઢુભાઇને અગાસી પરથી ધક્કો મારી પતાવી દીધો:મૃતકના સાઢુ અમરેન્દ્રસિંહની ધરપકડ, રાજકોટમાં સંબંધીઓના ખૂન વધ્યા
રાજકોટના શાપર-વેરાવળના ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં 11 ઓગસ્ટની રાત્રે બનેલી ગંભીર ઘટનામાં છત પરથી નીચે ફેંકાયેલા 40 વર્ષીય બ્રિજવિહારીસિંગનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. શરૂઆતમાં મારામારી અને ગંભીર ઇજાના બનાવ તરીકે નોંધાયેલી ફરિયાદમાં ઇજાગ્રસ્તનું મોત થતાં પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ કરી મૃતકના સાઢુ અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પુત્રને અહીં કેમ રાખ્યો છે કહીને ઝઘડો કર્યો મૂળ ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાના વતની બ્રિજવિહારીસિંગ પરિવાર સાથે શાપર-વેરાવળના ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતા અને શ્રીરામ ફેબ્રિકેશનમાં મજૂરી કામ કરતા હતા. 11 ઓગસ્ટે રાત્રે આશરે 10.30 વાગ્યે તેઓ પત્ની સંજુ અને બાળકો સાથે ઓરડીમાં હતા. આ દરમિયાન સંજુની બહેન શીતલનો પુત્ર હિતેશસિંગ ત્યાં આવ્યો હતો અને તેના પિતા અમરેન્દ્રસિંહ ગુસ્સામાં હોવાનું જણાવ્યું હતું. થોડા સમય બાદ અમરેન્દ્રસિંહ ત્યાં પહોંચ્યો હતો અને પોતાના પુત્રને અહીં કેમ રાખ્યો છે તે મુદ્દે સંજુ અને બ્રિજવિહારીસિંગ સાથે બોલાચાલી શરૂ કરી હતી. બ્રિજવિહારીસિંગે ઝઘડો ન કરવા કહેતાં અમરેન્દ્રસિંહ ઉશ્કેરાઈ ગયો હતો. માર મારતા મારતાં છત પરથી ફેંકી દીધો આરોપીએ બ્રિજવિહારીસિંગને ઢીકાપાટુનો માર માર્યો હતો દરમિયાન પતિને બચાવવા વચ્ચે પડેલી સંજુને પણ ધક્કો મારી નીચે પછાડી દીધી હતી. ત્યારબાદ અમરેન્દ્રસિંહે બ્રિજવિહારીસિંગને માર મારતાં મારતાં છતની દીવાલ પાસે લઈ જઈ નીચે જમીન પર ફેંકી દીધો હતો અને આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. સારવાર દરમિયાન બ્રિજવિહારીસિંગનું મોત બીજી તરફ સંજુ અને બાળકોની બૂમાબૂમથી આસપાસના લોકો દોડી આવ્યા હતા જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બ્રિજવિહારીસિંગને પ્રથમ શાપર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ હત્યામાં પલટાયો મૃતકની પત્ની સંજુની ફરિયાદના આધારે શાપર-વેરાવળ પોલીસે શરૂઆતમાં BNSની કલમ 109(1), 115(2) સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ પછી બ્રિજવિહારીસિંગનું સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પલટાયો છે અને પોલીસે BNSની કલમ 103(1)નો ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ કર્યો છે. બે દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની પત્ની સંજુ પણ કારખાનામાં કામ કરતી હોવાનું સામે આવ્યું છે અને તેમને સંતાનમાં બે દીકરા હોવાનું સામે આવ્યું છે. હાલ હત્યાના કેસમાં પોલીએ આરોપી અમરેન્દ્રસિંહની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પુછપરછમાં હત્યાનું ચોક્કસ કારણ સામે ન આવતા પોલીસર ઝઘડાની પરિસ્થિતિ અને ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar