education
આણંદ કોલેજ હિન્દી વિભાગે વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું:પ્રેમચંદ જયંતિ પર સાહિત્યિક વ્યાખ્યાન પણ યોજાયું
આણંદ શહેરની કોલેજના હિન્દી વિભાગ દ્વારા ૬ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ બી.એ. સત્ર-૧, ૨ અને એમ.એ. સત્ર-૧ના નવા વિદ્યાર્થીઓ માટે આવકાર સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પ્રેમચંદ જયંતિ નિમિત્તે એક વિશેષ સાહિત્યિક વ્યાખ્યાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન, વિષય નિષ્ણાત ડૉ. સામંત ભાઈએ "પ્રેમચંદનું જીવન અને રચના" વિષય પર સાહિત્યિક વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે ઉપસ્થિત સૌને લેખકના વિચારો અને મૂલ્યોને જીવનમાં ઉતારવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે વિભાગના અધ્યાપકો પ્રો. હસમુખભાઈ પરમાર, શ્રી મુળુભાઈ વાજા અને વિદ્યાર્થીઓએ "મુન્શી પ્રેમચંદના સાહિત્યની પ્રાસંગિકતા" વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.બી.એ.ના વિદ્યાર્થીઓએ પ્રેમચંદજીના સાહિત્ય સંદર્ભે આકર્ષક ચાર્ટ અને રંગોળી પણ તૈયાર કર્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ. સીમાબેન રાઠોડે આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ અને શબ્દોથી સ્વાગત કરી પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. આ બંને પ્રસંગોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ. અનિલાબેન મિશ્રા, ડૉ. પાર્વતીબેન ગોસાઈ અને ડૉ. જાલમસિંહ રાજપુરોહિત દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન કુ. માહી પટેલે કર્યું હતું.
Read full article on Divya Bhaskar