top
વઢવાણ લોકમેળામાં ચાલુ ચકડોળમાંથી પટકાતા બાળકીનું મોત:મૃતક નિહારિકા પોલીસકર્મીની પુત્રી, મેળાની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા
સુરેન્દ્રનગરના વઢવાણમાં મોડી રાત્રે લોકમેળા દરમિયાન ચાલુ ચકડોળમાંથી એક બાળકી નીચે પટકાઈ હતી. આ ઘટના બનતા જ મેળામાં અફડાતફડી મચી ગઈ હતી. લોકોના ટોળા ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. ચકડોળને તાત્કાલિક બંધ કરાવીને બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ બાળકીનું મોત થયું હતું. વઢવાણ લોકમેળામાં પરિવાર સાથે આનંદ માણવા આવેલી 12 વર્ષની બાળકી નિહારિકા પરમાર ચકડોળમાં બેઠી હતી. તે દરમિયાન અચાનક સમતુલન ગુમાવતાં અથવા યાંત્રિક ખામીના કારણે નિહારિકા ઊંચાઈ પરથી નીચે પટકાઈ હતી. જેથી તેને ગંભીર ઈજાઓ પહોંચતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. મૃતક નિહારિકા થાનગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી કાંતિલાલ પરમારની દીકરી છે. પોલીસ પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોક પોલીસ કર્મચારીની માસૂમ દીકરીના અચાનક મોતથી પરમાર પરિવાર સહિત સુરેન્દ્રનગર પોલીસ બેડા અને વઢવાણ પંથકમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો. મેળાની ખુશીઓ ક્ષણભરમાં માતમમાં ફેરવાઈ જતાં સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે. રાઈડ્સની ફિટનેસ અને SOPના પાલન સામે સવાલો આ કરૂણ ઘટના બાદ લોકમેળામાં ચાલતી ચકડોળ સહિતની તમામ મનોરંજક રાઈડ્સની મિકેનિકલ સુરક્ષા અને ફિટનેસ સર્ટિફિકેટ સામે મોટા પ્રશ્નાર્થો સર્જાયા છે. તંત્ર દ્વારા નિયમો અને SOP મુજબ જ મેળાને આખરી મંજૂરી આપવામાં આવી હોવાના દાવાઓ વચ્ચે આટલો મોટો અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે સ્થાનિકો અને નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વિવિધ રાઈડ્સની પોલીસ અને તંત્ર દ્વારા યોગ્ય ચકાસણી કરાઈ હતી કે કેમ? મેળામાં સુરક્ષાની જવાબદારી કોની હતી અને નિયમોનું પાલન થયું હતું કે નહીં તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો આ ઘટનાને પગલે વઢવાણ પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચકડોળની સુરક્ષા વ્યવસ્થા તેમજ મંજૂરી સંબંધિત બાબતોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
Read full article on Divya Bhaskar