top
OBC અનામતે મનપાના સમીકરણો બદલ્યા:પ્રાથમિક મતદારયાદીની જાહેરાત સાથે 23 હજાર મતદારો ઘટ્યાને 10 બુથ વધ્યા, 12 બેઠકો અનામત થતાં રાજકીય ચહેરા બદલાશે
ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026 માટે ચૂંટણી તંત્ર દ્વારા પ્રારંભિક મતદાર યાદી સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવતાં પાટનગરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચની સઘન સુધારણા (SIR) ઝુંબેશ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામતના અમલીકરણ સાથે યોજાઈ રહેલી આ ચૂંટણીને લઈને શહેરના તમામ વોર્ડના ભૌગોલિક અને જ્ઞાતિગત સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. યાદી જાહેર થતાંની સાથે જ ભાજપ, કોંગ્રેસ તેમજ અન્ય રાજકીય પક્ષોમાં બેઠકોની ગણતરી અને દાવેદારોની પસંદગીને લઈને મોટો સળવળાટ શરૂ થઈ ગયો છે. SIR ઝુંબેશમાં બોગસ નામો કપાતાં 23,269 મતદારો ઘટ્યા પણ 10 બુથ વધ્યા ચૂંટણી પંચની વિશેષ સુધારણા ઝુંબેશ દરમિયાન હજારો બોગસ, મૃતક અને સરનામું બદલી ગયેલા મતદારોના નામો યાદીમાંથી દૂર કરવામાં આવતાં આંકડાકીય મોટો ફેરફાર સામે આવ્યો છે. વર્ષ 2021 ની ચૂંટણી વખતે ગાંધીનગર મનપા વિસ્તારમાં કુલ 2,81,887 મતદારો અને 284 પોલિંગ બુથ નોંધાયેલા હતા. તેની સામે વર્ષ 2026 ની પ્રારંભિક યાદીમાં મતદારોની સંખ્યા ઘટીને 2,58,918 થઈ ગઈ છે, જ્યારે વહીવટી સરળતા ખાતર પોલિંગ બુથની સંખ્યા વધીને 294 થઈ છે. સીધા 23,269 મતદારો ઓછા થઈ જવા છતાં 10 બુથ વધી જતાં રાજકીય પક્ષોના પરંપરાગત આંકડાકીય ગણિત ખોરવાઈ ગયા છે. ખાસ કરીને ગાંધીનગર ઉત્તર વિધાનસભા હેઠળના વોર્ડમાં મતદારો ઘટ્યા છે, જ્યારે ગાંધીનગર દક્ષિણ હેઠળ આવતા કુડાસણ, રાંદેસણ અને રાયસણ જેવા વિસ્તારોમાં મતદારોનો નોંધપાત્ર વધારો નિર્ણાયક સાબિત થશે. 27 ટકા OBC અનામતથી 12 બેઠકો અનામત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામતના નિર્ણયને પગલે ગાંધીનગર મહાનગરપાલિકાની કુલ બેઠકોમાંથી 12 બેઠકો ઓબીસી ઉમેદવારો માટે અનામત બની જશે. તમામ 11 વોર્ડમાં બેઠકોનું રોટેશન ફરી જતાં વર્ષોથી એક જ બેઠક પર પકડ ધરાવતા અનેક સીનિયર કોર્પોરેટરો અને અગ્રણી દાવેદારોએ પોતાની પરંપરાગત સીટ ગુમાવવી પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. બેઠકોની નવી ફાળવણીના કારણે અનેક નેતાઓ હવે સલામત અને અનુકૂળ નવો વોર્ડ શોધવા માટે દોડધામ કરી રહ્યા છે. વોર્ડ નંબર 11માં સૌથી વધુ અને વોર્ડ 5માં સૌથી ઓછા મતદારો નોંધાયા પ્રારંભિક આંકડાઓ અનુસાર મનપા વિસ્તારમાં હાલ 1,32,031 પુરુષ, 1,26,878 સ્ત્રી અને 9 અન્ય મળી કુલ મતદારો નોંધાયા છે. ચૂંટણી દરમિયાન સૌથી આકરી રસાકસી વોર્ડ નંબર 11 (34,730 મતદારો) અને વોર્ડ નંબર 8 (33,731 મતદારો) માં જોવા મળશે. આ ઉપરાંત વોર્ડ 10 માં 31,688 અને વોર્ડ 9 માં 30,884 મતદારો નોંધાયા છે. બીજી તરફ સૌથી ઓછા મતદારો વોર્ડ 5 માં 13,303 અને વોર્ડ 3 માં 15,615 હોવાથી ત્યાં મામૂલી મતોની સરસાઈ પણ ઉમેદવારની હાર-જીત નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. વાંધા-અરજી માટે 1 અઠવાડિયાની મુદત, નિયત કેન્દ્રો પર યાદી ઉપલબ્ધ રાજકીય પક્ષોએ પોતાના કાર્યકરો અને બુથ સ્તરના આગેવાનોને પ્રારંભિક યાદીની ચકાસણી માટે એલર્ટ કરી દીધા છે. સામાન્ય નાગરિકો અને રાજકીય કાર્યકરોની સરળતા માટે સેક્ટર-17 પંડિત દીનદયાળ ભવન, સેક્ટર-11 એમ.એસ. બિલ્ડિંગ, પેથાપુર કચેરી તેમજ ભાટ અને કોબા જનસેવા કેન્દ્રો ખાતે મતદાર યાદી નિરીક્ષણ માટે મુકવામાં આવી છે. એક અઠવાડિયા દરમિયાન મળનારી વાંધા-અરજીઓના નિકાલ બાદ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે, જેના આધારે ગાંધીનગર મનપાની સત્તાની લડાઈનો આખરી તખ્તો તૈયાર થશે.
Read full article on Divya Bhaskar