top
‘પહેલા B.Sc.માં એડમિશન, હવે કાયદામાં UGની જોગવાઈ!’:નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટીના સુધારા બિલ પર સવાલો; ગોપાલ ઇટાલિયાનો સરકાર પર પ્રહાર
ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીને લઈને વિધાનસભામાં રજૂ થયેલા 2026ના સુધારા બિલે યુનિવર્સિટીના UG અભ્યાસક્રમ અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. 2017માં યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી, પરંતુ હવે સરકાર દ્વારા રજૂ કરાયેલા સુધારા બિલમાં સ્નાતક એટલે કે પૂર્વસ્નાતક અભ્યાસક્રમ માટે કાયદામાં સ્પષ્ટ જોગવાઈ ઉમેરવાની દરખાસ્ત કરવામાં આવી છે. બીજી તરફ, યુનિવર્સિટીની પોતાની વેબસાઇટ પર 11 જુલાઈ, 2024ની તારીખ સાથે B.Sc. Agri. (Hons.) નેચરલ ફાર્મિંગ માટેનું એડમિશન યૂઝર મેન્યુઅલ ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 2017માં યુનિવર્સિટી બની, UGનો સ્પષ્ટ ઉલ્લેખ નહોતો 2017માં ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી માટે કાયદો બનાવવામાં આવ્યો હતો. મૂળ કાયદામાં યુનિવર્સિટીને ડિપ્લોમા, અનુસ્નાતક અને વ્યાવસાયિક અભ્યાસક્રમો ચલાવવાની સત્તા સહિત શિક્ષણ અને સંશોધન સંબંધિત વિવિધ સત્તાઓ આપવામાં આવી હતી. જોકે, હવે 2026ના સુધારા બિલમાં સરકાર તરફથી પૂર્વસ્નાતક અભ્યાસક્રમ માટે કાયદામાં સ્પષ્ટ જોગવાઈ કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે. 2022માં નેચરલ ફાર્મિંગનો સમાવેશ 2022માં કાયદામાં સુધારો કરીને યુનિવર્સિટીના નામમાં નેચરલ ફાર્મિંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું નામ બદલીને ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી કરવામાં આવ્યું હતું. સાથે જ નેચરલ ફાર્મિંગને યુનિવર્સિટીના શિક્ષણ, સંશોધન અને કામગીરી સાથે જોડવામાં આવ્યું હતું. 2023માં નામ બદલાયું, UGની સ્પષ્ટતા ફરી નહીં 2023માં ફરી એમેડમેન્ટ બિલ નંબર-24 લાવવામાં આવ્યું હતું. તેનો મુખ્ય હેતુ યુનિવર્સિટીનું નામ બદલીને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી કરવાનો હતો. આ સુધારામાં 2017ના કાયદાની વિવિધ કલમોમાં નામ સંબંધિત ફેરફારો કરવામાં આવ્યા હતા. જોકે, UG અથવા સ્નાતક ડિગ્રી માટે 2026ના બિલમાં કરવામાં આવી રહેલી સ્પષ્ટ જોગવાઈ તે સમયે કરવામાં આવી નહોતી. 2024માં B.Sc. માટે એડમિશન યુઝર મેન્યુઅલ આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ 2024ના દસ્તાવેજથી ઊભો થાય છે. યુનિવર્સિટીની વેબસાઇટના રેકોર્ડમાં “એડમિશન યૂઝર મેન્યુઅલ ફોર B.Sc. Agri. (Hons) નેચરલ ફાર્મિંગ” માટે 11 જુલાઈ 2024ની પબ્લિશ ડેટ દર્શાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે એટલે કે, B.Sc. નેચરલ ફાર્મિંગ માટેની પ્રવેશ પ્રક્રિયાનો સત્તાવાર દસ્તાવેજી રેકોર્ડ 2024માં ઉપલબ્ધ હતો. હવે 2026માં કાયદામાં UGની જોગવાઈ કેમ? 2026ના Gujarat Bill No.21 of 2026માં 2017ના કાયદાની કલમ 7, 12, 14 અને 32માં ફેરફાર કરીને પૂર્વસ્નાતક/સ્નાતક અભ્યાસક્રમનો સ્પષ્ટ સમાવેશ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. વધુ નોંધપાત્ર બાબત એ છે કે આ સુધારાને 16 ફેબ્રુઆરી 2023થી અમલમાં આવ્યો હોવાનું ગણાવવાની જોગવાઈ પણ બિલમાં કરવામાં આવી છે. આથી સવાલ એ ઊભો થાય છે કે જો UG અભ્યાસક્રમ ચલાવવા માટે કાયદામાં સ્પષ્ટ જોગવાઈ જરૂરી હતી, તો 2024માં B.Sc. નેચરલ ફાર્મિંગ માટે પ્રવેશ પ્રક્રિયા કયા કાયદાકીય આધાર હેઠળ હાથ ધરવામાં આવી હતી? તેમજ જો UG અંગેની જોગવાઈ 2023થી જ લાગુ કરવાની હતી, તો 2023ના સુધારા વખતે જ તેનો સ્પષ્ટ સમાવેશ કેમ કરવામાં આવ્યો નહીં? ગોપાલ ઇટાલિયાનો સરકાર પર સીધો પ્રહાર આ મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકારની કામગીરી સામે આકરો સવાલ ઉઠાવ્યો છે. તેમણે સમગ્ર ઘટનાક્રમને સરકારના ‘આડેધડ અને અંધાધૂંધ વહીવટ’નું ઉદાહરણ ગણાવ્યું હતું. ઇટાલિયાએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે, “ભાઈ, આડેધડ વહીવટ છે, અંધાધૂંધ સરકાર છે. કોઈને ખબર જ નથી કે કરવાનું શું છે. પહેલા યુનિવર્સિટી ખોલી અને પાછળથી નક્કી થયું કે શું ભણાવવાનું છે. છોકરાઓએ ભણી લીધું છે, આ કેવો અંધેરો વહીવટ!” તેમણે આ સમગ્ર સ્થિતિને “અંધેરી નગરી ને ગંડુ રાજા” જેવી ગણાવી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ઇટાલિયાના કહેવા મુજબ, જો વિદ્યાર્થીઓને પહેલેથી જ B.Sc. નેચરલ ફાર્મિંગમાં પ્રવેશ આપવામાં આવ્યો અને અભ્યાસક્રમ ચલાવવામાં આવ્યો હોય, તો ત્યારબાદ ત્રણ વર્ષના ગાળાને આવરી લેતી રીતે કાયદામાં સુધારો કરવાની જરૂર શા માટે પડી તે સરકારને સ્પષ્ટ કરવું જોઈએ. ખાસ કરીને 2026ના બિલમાં 2023થી પૂર્વલક્ષી અસર આપવાની દરખાસ્ત હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ, ડિગ્રી અને ભવિષ્યની કાયદાકીય માન્યતા અંગે કોઈ પ્રશ્ન ઊભો નહીં થાય તેની જવાબદારી સરકારની હોવાનું તેમણે જણાવ્યું. વિદ્યાર્થીઓના હિતમાં સ્પષ્ટતા જરૂરી સમગ્ર ઘટનાક્રમમાં 2017માં યુનિવર્સિટીની સ્થાપનાથી લઈને 2022માં નેચરલ ફાર્મિંગનો સમાવેશ, 2023માં નામમાં ફેરફાર, 2024માં B.Sc. નેચરલ ફાર્મિંગ માટે એડમિશન યૂઝર મેન્યુઅલ અને હવે 2026માં UG અભ્યાસક્રમ માટે સ્પષ્ટ કાયદાકીય જોગવાઈ કરવાની દરખાસ્ત આ તમામ તબક્કા ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. ખાસ કરીને 2024માં B.Sc.માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે તે સમયે UG અભ્યાસક્રમ ચલાવવાનો ચોક્કસ કાયદાકીય આધાર શું હતો અને હવે 2026ના સુધારા બિલને 16 ફેબ્રુઆરી 2023થી પૂર્વલક્ષી અસર આપવાની જરૂર શા માટે પડી, તે અંગે સરકાર તરફથી સ્પષ્ટ જવાબની માગ ઉઠી છે.
Read full article on Divya Bhaskar