top
કોંગ્રેસના યુવા કાઉન્સિલરની રજૂઆત:PMના આગમન દિવસે ગણેશ આગમન યાત્રાની પરવાનગી રદ ન કરો, મોટાભાગની યાત્રા કાર્યક્રમ બાદ નીકળશે
વડોદરા શહેરમાં આગામી દિવસોમાં ગણેશ ઉત્સવની ભારે ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી થવા જઈ રહી છે. કલાનગરી તરીકે ઓળખાતું વડોદરા શહેર પોતાના ધાર્મિક ઉત્સવો અને સદભાવના માટે દેશભરમાં પ્રખ્યાત છે, જ્યાં તમામ ધર્મના લોકો પોતાના રીત-રિવાજો મુજબ તહેવારો ઉજવે છે. પરંતુ આગામી 8 સપ્ટેમ્બર 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા પ્રવાસને લઈને ગણેશ મંડળોમાં ભારે અસંતોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પીએમ આવવાના હોવાથી પરવાનગી રદ કરાઈ હોવાની વાતો 8 સપ્ટેમ્બરે વડાપ્રધાનના પ્રવાસને કારણે સુરક્ષાના કારણોસર ગણેશજીના આગમન માટે અપાયેલી તમામ પરવાનગીઓ રદ્દ કરવામાં આવી રહી હોવાની વાતો વહેતી થતાં આયોજકોમાં કચવાટ વ્યાપી ગયો છે. સ્થાનિક આયોજકો અને ભાવિક ભક્તોના જણાવ્યા અનુસાર, 8 સપ્ટેમ્બરના ગણેશ આગમન માટે અગાઉથી જ તમામ કાનૂની અને પોલીસ પરવાનગીઓ મેળવી લેવામાં આવી હતી. આ દિવસ માટે ગણેશ મંડળો દ્વારા ઢોલ-તાસા, સાઉન્ડ સિસ્ટમ, રોશની, મંડપ અને પ્રસાદી સહિતના વિવિધ આયોજનો માટે લાખો રૂપિયાનું એડવાન્સ બુકિંગ કરી દેવામાં આવ્યું છે. આયોજન રદ થાય તો આર્થિક ફટકો જો છેલ્લી ઘડીએ આ પરવાનગીઓ રદ્દ કરવામાં આવશે, તો આયોજકો માથે ખુબ મોટો આર્થિક બોજો આવી પડશે અને નાણાકીય નુકસાન સહન કરવાનો વારો આવશે. આ નિર્ણયથી ભક્તોની ધાર્મિક લાગણીઓને પણ ભારે ઠેસ પહોંચી રહી છે. આ અંગે કોંગ્રેસના યુવા કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટ દ્વારા પોલીસ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે અને આ પરવાનગીઓ રદ ન કરાય તેવી વિનંતી કરી છે. તેઓએ જણાવ્યું છે કે, વડાપ્રધાન વડોદરા આવે છે તે સારી બે છે પરંતુ ગણેશ આયોજકોને પણ આર્થિક ફટકો પડે તે યોગ્ય નથી. પીએમનો કાર્યક્રમ 3 વાગે પૂર્ણ થઈ જશે મહત્વની વાત એ છે કે, માનનીય વડાપ્રધાનનો કાર્યક્રમ 8 સપ્ટેમ્બરે બપોરે 3 વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ જવાનો છે, જ્યારે ગણેશ મંડળો દ્વારા ગણેશજીના આગમન સરઘસ અને આયોજનો સાંજના સમયે રાખવામાં આવ્યા છે. તેથી સમયગાળામાં કોઈ સીધો ટકરાવ થતો નથી. ગણેશ મંડળો અને સ્થાનિકોની માગણી છે કે વડાપ્રધાનના કાર્યક્રમ બાદ સાંજના સમયે પરવાનગી યથાવત રાખવામાં આવે, જેથી સુરક્ષા વ્યવસ્થા પણ જળવાઈ રહે અને ધાર્મિક ઉત્સવ પણ ધામધૂમથી ઉજવી શકાય. ભક્તોની લાગણી અને આયોજકોની આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા ત્વરિત યોગ્ય નિર્ણય લઈ રદ્દ કરાયેલી પરવાનગીઓ પુનઃ બહાલ કરવામાં આવે તેવી સ્પષ્ટ માગ કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar