politics
શિક્ષકો પર અન્યાયી કાર્યવાહી સામે શૈક્ષિક મહાસંઘે PM-CMને રજૂઆત:સુરેન્દ્રનગર મહાસંઘે સાબરકાંઠા-કેરળના શિક્ષકોને ન્યાય આપવા મા ગ કરી
દેશ અને રાજ્યમાં શિક્ષકો પર થઈ રહેલી અન્યાયી કાર્યવાહી સામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સુરેન્દ્રનગર દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સંગઠને જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તેમજ કેરળના મુખ્યમંત્રી અને રાજ્યપાલને આવેદનપત્રો પાઠવી તાત્કાલિક ન્યાયિક હસ્તક્ષેપની માંગણી કરી છે. આવેદનપત્ર આપતી વખતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના ગુજરાતના અધ્યક્ષ મિતેશની આગેવાનીમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ અસવાર દશરથસિંહ, આલ જીગ્નેશ અને રણછોડ કટારીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા PM પોષણ યોજના વિવાદ સંગઠને સાબરકાંઠા જિલ્લાની હરસનપુર પ્રાથમિક શાળામાં 10 ઓગસ્ટે PM POSHAN યોજના અંતર્ગત બનેલી ઘટના બાદ શિક્ષકને ફરજમુક્ત કરી અન્યત્ર બદલી કરવા અને આચાર્યને ચાર્જશીટ આપવાની કાર્યવાહી સામે વિરોધ વ્યક્ત કર્યો છે. સંગઠનનું કહેવું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ મધ્યાહન ભોજન બનાવવાની અને પીરસવાની મુખ્ય જવાબદારી કૂક-કમ-હેલ્પર્સ, સ્વસહાય જૂથો અને SMCની છે. શિક્ષકોની ભૂમિકા માત્ર મર્યાદિત દેખરેખ અને સ્વાદ ચકાસણી પૂરતી જ હોય છે. મહાસંઘે ભારપૂર્વક જણાવ્યું કે શિક્ષકોનું મુખ્ય કાર્ય ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું છે. તેથી, વહીવટી ખામીઓમાં શિક્ષકોને સીધા જવાબદાર ઠેરવી કરવામાં આવેલી આ દંડાત્મક કાર્યવાહી તાત્કાલિક રદ કરી શિક્ષકને મૂળ જગ્યાએ પુનઃસ્થાપિત કરવા અને નીતિગત સ્પષ્ટતા કરવા માંગ કરવામાં આવી છે. મહાસંઘે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે PM POSHAN યોજનામાં શિક્ષકોને બલિનો બકરો બનાવવાનું બંધ કરવામાં આવે. કેરળમાં વીર સાવરકર પ્રશ્ન મામલે શિક્ષકનું સસ્પેન્શન બીજા એક કિસ્સામાં, કેરળના કાસરગોડ જિલ્લામાં શાળાકીય ક્વિઝ સ્પર્ધા દરમિયાન સ્વતંત્રતા સેનાની વીર વિનાયક દામોદર સાવરકર અંગે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષક ગુરુ પ્રસાદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહાસંઘે આ કાર્યવાહીને રાજકીય પૂર્વાગ્રહપીડિત અને શિક્ષકોની શૈક્ષણિક સ્વતંત્રતા પર હુમલો ગણાવી તેની ટીકા કરી છે. સંગઠને દલીલ કરી છે કે દેશના સ્વતંત્રતા સંગ્રામમાં વિવિધ વિચારો અને રાષ્ટ્રભક્તોનું યોગદાન રહ્યું છે. યોગ્ય અધિકારીઓના અનુમોદન બાદ પ્રસારિત થયેલી પ્રશ્નાવલી માટે માત્ર શિક્ષકને જવાબદાર ગણાવી ભયનું વાતાવરણ ઊભું કરવું અયોગ્ય છે. મહાસંઘે વડાપ્રધાનને ગુરુ પ્રસાદનું નિલંબન રદ કરવા આવેદન આપ્યું છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સુરેન્દ્રનગરે સ્પષ્ટ કર્યું છે કે શિક્ષકો પર અનાવશ્યક વહીવટી ભારણ કે રાજકીય દબાણ લાવવાથી શિક્ષણનું સ્તર જોખમાય છે. સંગઠને આશા વ્યક્ત કરી છે કે બંને ઘટનાઓમાં શિક્ષકોને બિનશરતી ન્યાય મળે, તેમની બદલી અને નિલંબનના હુકમો તાત્કાલિક પાછા ખેંચાય અને દેશભરમાં શિક્ષકોની શૈક્ષણિક અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જળવાઈ રહે તે માટે સકારાત્મક નિર્ણય લેવામાં આવશે.
Read full article on Divya Bhaskar