top
નવસારીમાં PMની મુલાકાતને લઈ તૈયારીઓની CR પાટીલે સમીક્ષા કરી:તંત્રના વરિષ્ઠ અધિકારીઓ-પક્ષના હોદ્દેદારો સાથે બેઠક યોજી; 8 સપ્ટેમ્બરે ભાજપ કાર્યાલયનું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે નવસારીની મુલાકાત લેશે. તેઓ ગુજરાતના પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીથી સજ્જ ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’નું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમને પગલે સમગ્ર નવસારી જિલ્લો વહીવટી છાવણીમાં ફેરવાઈ ગયો છે. રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપ સંગઠનના ટોચના નેતાઓ સતત નવસારીની મુલાકાત લઈ કાર્યક્રમની રૂપરેખા અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી રહ્યા છે. 'નમો કમલમ' ગુજરાતનું સૌથી આધુનિક પક્ષ કાર્યાલય બનશે. નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે કાર્યક્રમની તૈયારીઓ પર સીધી નજર રાખી હતી. તેમણે જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ અને પક્ષના સંગઠન હોદ્દેદારો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. પાટીલે કાર્યક્રમમાં આવનારા હજારો કાર્યકરો અને નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી, ટ્રાફિક નિયમન અને વિશાળ પાર્કિંગ વ્યવસ્થા સુચારુ રીતે ચાલે તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વડાપ્રધાનની સુરક્ષા પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને નવસારીમાં પીએમના કાફલાના રૂટ ઉપર માર્ગ સુધારણા, સુરક્ષા બેરિકેડિંગ અને સુશોભીકરણનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરાયું છે. પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ્સ અને સભાસ્થળની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી રહી છે. નવસારીમાં નિર્માણ પામેલું નવું ‘નમો કમલમ’ રાજ્યના અન્ય પક્ષ કાર્યાલયો કરતાં ટેક્નોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અગ્રેસર છે. તેમાં AI-આધારિત ટેક્નોલોજી, મલ્ટીપર્પઝ ઓડિટોરિયમ, પદાધિકારીઓ માટે ઓફિસ અને આધુનિક કેફેટેરિયા જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
Read full article on Divya Bhaskar